રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ બાદ ત્રણ IAS અધિકારીની તપાસ સમિતિ બનાવી છે.વિભાગીય તપાસ માટે આ કમિટી રચવામાં આવી છે. IAS પી સ્વરૂપ, મનિષા ચંદ્રા અને રાજકુમાર બેનિવાલનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી ગેમઝોનનો પાયો નખાયો ત્યારથી અગ્નિકાંડ સુધીના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. જેમા ક્યા અધિકારીએ કામ કર્યુ અને કોણે કામગીરી ન કરી એ જવાબદારી આ સમિતિ નક્કી કરશે, 15 દિવસ બાદ 2 જુલાઈ સુધીમાં સમિતિએ તપાસ રિપોર્ટ સોંપશે.
રાજકોટમાં ગત 25 મે ના રોજ થયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક તપાસ કમિટી તપાસ કરી રહી છે. આ કમિટીએ અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં 9 આરોપીઓ જેલ હવાલે છે જ્યારે એક આરોપી પોલીસ રિમાન્ડ પર છે. ઘટનાને આટલા દિવસો વિતવા છતા રાજકોટ પોલીસે મીડિયા સામે આવીને આ અંગે સત્તાવાર કોઇ નિવેદન આપ્યું નથી. આખી ઘટનામાં પોલીસ દ્રારા ગુનો દાખલ થયો ત્યારે તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ કરી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા એક પ્રેસનોટ જાહેર કરાઇ હતી, પરંતુ મીડિયા સામે આવીને કોઇ માહિતી જાહેર ન થતા પોલીસની તપાસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જો તપાસ નિષ્પક્ષ અને તટસ્થ તેમજ ઉંડાણપૂર્વકની જ ચાલતી હોય તો આટલા દિવસ વિતવા છતા હજુ મીડિયાના કેમેરાની સામે આવીને કેમ સવાલોના જવાબ આપવામાં આવતા નથી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. પીડિત પરિવાર હોય કે પછી રાજકોટની સામાન્ય જનતા હોય દરેક વ્યક્તિ મીડિયાના માધ્યમથી તપાસ અંગે વાકેફ થતા હોય છે, પરંતુ પોલીસે આ કેસમાં મીડિયાથી અંતર રાખતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા છે.
એક તરફ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને તેની ટીમ દ્રારા મીડિયાને પુરતી માહિતી આપવામાં આવતી નથી અને બીજી તરફ ટીઆરપી ગેમ ઝોનમાં તટસ્થ તપાસની માંગ સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મળવા માટે ગયું હતું, ત્યારે પોલીસ કમિશનરે મીડીયામાં આવતા સમાચારને અપુરતા અને ખોટાં ગણાવ્યા હતા. ટીઆરપી ગેમ ઝોન મામલે અધિકારીઓ-પદાધિકારીઓની ભૂમિકાથી લઇને અનેક મુદ્દે મીડિયાએ સવાલો ઉઠાવ્યા હતા એટલું જ નહિ સૂત્રો પાસેથી ખાનગી રીતે માહિતીઓ મેળવીને લોકો સુધી માહિતી પહોંચાડી છે, પરંતુ પોલીસ કમિશનરને આ તમામ સમાચાર ખોટા અને અપૂરતા લાગી રહ્યા છે. બની પણ શકે કે કેટલાક સમાચારો અને તપાસના મુદ્દાઓ વચ્ચે તફાવત જોવા મળે તો પછી રાજકોટ પોલીસ કેમ આ અંગે માહિતી આપતી નથી.
રાજકોટના દરેક નાગરિક અને પીડિત પરિવારના મનમાં એક સવાલ છે. આ કેસમાં અધિકારીઓની સાથે પદાધિકારી કે કોઇ મોટા માથાની સંડોવણી છે કે કેમ,જે પકડાયેલા આરોપીઓ છે તેઓએ કોના કહેવાથી આ ડિમોલેશન કર્યું ન હતું, ચાર ચાર વર્ષથી ધમધમતો આ ગેમ ઝોન કોના આર્શિવાદથી ચાલતો હતો જેના પ્રત્યુતર હજુ સુધી પોલીસે આપ્યા નથી. 10 પૈકી 9 આરોપીઓ જ્યુડિશયલ કસ્ટડીમાં પહોંચી ગયા છે પરંતુ પોલીસે જે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં ઘટનાસ્થળે રહેલા આરોપીઓની ભુમિકા અને અધિકારીઓએ જવાબદારીમાં દાખવેલી બેદરકારી સિવાય કોઇ માહિતી જાહેર કરી નથી.
14 જુનના રોજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના દરેક જિલ્લાઓ અને કમિશનરેટ એરિયામાં સાયબર ક્રાઇમની જાગૃતતાને લઇને લોકોને માહિતી આપવા હેતુથી પત્રકાર પરિષદ કરવાની સૂચના આપી હતી જો કે રાજકોટમાં આ સૂચનાનું પાલન થયું ન હતું અને પોલીસ માત્ર પ્રેસનોટ આપીને સંતોષ માન્યો હતો બની શકે કે સાયબર ક્રાઇમમાં જે અધિકારીઓ ફરજ બજાવે છે, તેઓ ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટીના વડા પણ છે અને તેઓ તપાસમાં વ્યસ્ત હોય શકે છે, પરંતુ પત્રકાર પરિષદ ન કરતા પોલીસ સામે સવાલ ઉઠી રહ્યા છે. જો પત્રકાર પરિષદ થાય તો એક વાત નક્કી હતી કે પત્રકારો પણ લોકોના મનમાં જે સવાલો છે તેવા અગ્નિકાંડની તપાસના મુદ્દાઓ અંગે પોલીસ સામે સવાલોનો મારો કરવાની શક્યતા હતી અને એટલા માટે જ પોલીસે આ પત્રકાર પરિષદ ન કર્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:59 pm, Mon, 17 June 24