Rajkot : ત્રીજી લહેરને આમંત્રણ ? વિછીંયામાં સતરંગાપીરમાં લાખોની ભીડ એકઠી થઇ
અષાઢી બીજના દિવસે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલા સતરંગા પીર ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Rajkot : કોરોનાની મહામારી વચ્ચે લોકોની બેદરકારી સામે આવી છે. આજે અષાઢી બીજના દિવસે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલા સતરંગા પીર ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.અહીં આવેલા મોટાભાગના લોકોએ ન તો માસ્ક પહેર્યા હતા કે ન તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું. મંદિર પરિસરમાં દર્શન કરવા માટે લોકોએ રીતસર ધક્કામૂકી કરી હતી. એક તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે ત્યારે આ પ્રકારની બેદરકારી જોખમી સાબિત થઇ શકે છે.
મહાપ્રસાદ-મેળાનું આયોજન થવા નથી દીધું-એસપી
આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દર વર્ષે અષાઢી બીજમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં યોજાતો મહાપ્રસાદ અને પરંપરાગત મેળાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે. જોકે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. એટલા માટે દર્શન કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા જે ભીડ દુર કરવામાં આવી છે.
વિછીંયા તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન
રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે તેમાં સૌથી ઓછું વેક્સિન વિછીંયા તાલુકાનું છે.અહીં લોકોમાં અંધશ્રધ્ધા અને ગેર માન્યતાઓને કારણે વેક્સિનેશન ધીમું ચાલી રહ્યું છે. તેવા સમયે આ પ્રકારની બેદરકારી ઘાતક સાબિત થઇ શકે છે.