રાજકોટ શહેરમાં માત્ર થોડા વરસાદમાં ચારેબાજુ પાણી ભરાયા છે. માત્ર થોડીવાર અડધો ઈંચ જેટલા વરસેલા વરસાદમાં રાજકોટ શહેરની આ સ્થિતિ છે. આટલા વરસાદમાં તો શહેરના રસ્તાઓએ જળસમાધિ લઈ લીધી છે. રેસકોર્સ રોડ હોય કે કાલાવડ રોડ કે 150 ફુટ રિંગરોડ કે પછી કેકેવી હોલ, જામનગર રોડ કે યાજ્ઞિક રોડ. તમામ વિસ્તારોમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ છે કે જો એકસામટો 4-5 ઈંચ વરસાદ ખાબકી જાય તો શું થાય. રાજકોટવાસીઓને હોડી લઈને નીકળવુ પડે તો નવાઈ નહીં.
આ માત્ર આ વર્ષની મુશ્કેલી નથી. દર ચોમાસાએ શહેરમાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પરંતુ નઘરોળ તંત્રના અધિકારીઓ બસ પ્રિમોન્સુન કામગીરીના નામે મોટા મોટા કાગળ પર દાવા કર્યે જાય છે. શહેરીજનોને પડતી હાલાકીની તેમને કંઈ પડી નથી.
માત્ર અડધા ઈંચ વરસાદે રાજકોટ મનપાની કહેવાતી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. ઘોર બેદરકારીની હદ તો એ છે કે આટલુ ઓછુ હોય તેમ શહેરમાં ઠેક ઠેકાણે ખોદકામ ચાલી રહ્યુ છે. ક્યાંક ડીઆઈ પાઈપલાઈન તો ક્યાંક ગટરની ભૂર્ગભ લાઈન માટે ઠેર ઠેર ખાડા કરી દેવાયા છે. પાણીની પાઈપલાઈન નાખવાના અને રોડ રિપેર કરવાના બહાના હેઠળ શહેરમાં અનેક જગ્યાએ માત્રને માત્ર ખાડારાજ જોવા મળી રહ્યુ છે. એટલે જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષે આ અણઘડ કામગીરી સામે સત્તાપક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યુ એક સિસ્ટમ મુજબ કામ થાય છે, પહેલા ખાડા પછી રિપેરિંગ, પછી વરસાદમાં ફરી ખાડા, ફરી રિપેરિંગ. આ પ્રકારે કામ ચાલ્યા કરે છે અને કોન્ટ્રાક્ટરોના ઘર ભરાયા કરે છે.
સામાન્ય નિયમ મુજબ 15 જૂન સુધીમાં શહેરમાં ખોદકામને રોડ રસ્તાને લગતી તમામ કામગીરી પૂર્ણ કરી લેવાની હોય છે. રાજ્યમાં 15 જૂન પછી ચોમાસુ બેસી જાય છે જેને લઈને રોડ રસ્તા પર વરસાદ બાદ ખાડા કરવાથી લોકો અકસ્માતનો ભોગ બની શકે છે. પરંતુ દયાહિન બનેલા તંત્રના અધિકારીઓને લોકોની સમસ્યાની કઈ પડી હોય તેવુ જણાતુ નથી.
શહેરની સમસ્યા પર tv9 સંવાદદાતાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પુછ્યુ તો તેઓએ લુલો બચાવ કર્યો. તેઓએ કહ્યુ કે લોકોને જોખમ ચોક્કસ છે અને સ્થિતિને જોતા ખાડા પૂરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પૂરવામાં આવી રહ્યા છે. વધુમાં આ અંગે RMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે, પાલિકાની કામગીરી એકદમ પરફેક્ટ છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહેવાનુ મન થાય કે જરા ચેમ્બરમાંથી બહાર નીકળો અને શહેરમાં ફરો તો ખબર પડે કે કાગળ પરના આદેશનો કેટલો અમલ થાય છે.