RAJKOT : મ્યુકોરમાઇકોસિસ બાદ એસ્પરઝિલસ ફુગનું આક્રમણ, સિવિલ હોસ્પિટલમાં નોંધાયા 100થી વધુ કેસ
RAJKOT : દેશ અને રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. સાથેસાથે કોરોનાને સંલગ્ન બિમારીઓએ પણ ગુજરાતમાં માથું ઉચક્યું છે. જેથી લોકોમાં કોરોનાને લઇને ભારે ભય વ્યાપ્યો છે.
RAJKOT : દેશ અને રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. સાથેસાથે કોરોનાને સંલગ્ન બિમારીઓએ પણ ગુજરાતમાં માથું ઉચક્યું છે. જેથી લોકોમાં કોરોનાને લઇને ભારે ભય વ્યાપ્યો છે. કોરોનાના રોગચાળાની સાથેસાથે થતા મ્યુકોરમાઇકોસિસે તબીબી આલમની ચિંતા વધારી છે. તો હવે ગેંગરીન અને એસ્પરઝિલસ નામના રોગચાળાને લઇને ચિંતાનો માહોલ છે. હાલ રાજકોટમાં એસ્પરઝિલસના રોગચાળાએ માથું ઉચક્યું છે.
કોરોના મહામારીએ લોકોની આર્થિક સ્થિતિને તો ખરાબ કરી જ નાંખી છે. સાથે-સાથે લોકોની માનસિક સ્થિતિને પણ કોરોનાએ ભારે અસર કરી છે. કારણ કે આ રોગચાળાના નવાનવા પ્રકારોને કેવી રીતે પહોંચી વળવું એ સ્થિતિનું સર્જન થયું છે. રાજકોટમાં કોરોના દર્દીઓમાં એસ્પરઝિલસ નામની ફુગે દર્દીઓના શરીરમાં પ્રવેશ કર્યો છે.
શું છે એસ્પરઝિલસ ફુગનાં લક્ષણો ? એસ્પરઝિલસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળે છે. જેમાં દર્દીને તાવ આવવો, કફનો ભરાવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો દેખાય છે. તેમજ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડૉ.નીરજ મહેતાએ એક પ્રસિદ્ધ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગના 100થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા રહે છે.
કોરોના દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા બન્યા
ફેફસાંના નિષ્ણાત તબીબ ડૉ. નીરજ મહેતાએ જણાવ્યું હતું કે સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા થયા છે, સાથે સાથે એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો નોંધાયો છે.
મ્યુકોરમાઇકોસિસ કરતાં સારવાર ખર્ચ ઓછો થાય છે એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટાભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. સામાન્ય રીતે એસ્પરઝિલસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર કરતાં એસ્પરઝિલસ સારવારમાં ખર્ચ ઓછો રહે છે.