Rajkot: જિલ્લાના 25 ગામડાઓમાં થયું 100 ટકા વેક્સિનેશન, જિલ્લાનું કુલ 40 ટકા રસીકરણ
ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (Corona Vaccination) પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લાના 25 જેટલા ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પુરૂ થઈ જતા જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવી છે. આ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 40 ટકા જેટલું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યુ હતુ કે જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને જિલ્લામાં વેક્સિનેશનની ટકાવારી 40 ટકાથી આગળ વધશે તેવો દાવો કર્યો હતો.
ત્રીજી લહેર પહેલા સાવચેતી જરૂરી-કલેક્ટર
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે અન્ય રાજ્યોમાં ત્રીજી લહેરના પગલે કોરોનાના કેસોની સંખ્યા વધવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસટન્સનું ચુસ્તપણે પાલન થાય તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા ત્રીજી લહેર પહેલા તમામ સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓની ચકાસણી કરીને તેને સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ બેઠક કરીને સ્થિતિની સમિક્ષા કરવામાં આવી છે.
પછાત તાલુકાઓમાં હજુ વેક્સિનેશન ધીમું
જિલ્લામાં સૌથી ધીમું વેક્સિનેશન વિંછીયા તાલુકામાં થઈ રહ્યું છે આ વિસ્તાર શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે અને અહીં લોકોને વેક્સિનેશન માટે સમજાવવા તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. જો કે 18 વર્ષથી 44 વર્ષનું વેક્સિનેશન શરૂ થયું, ત્યારબાદ આ ટકાવારીમાં થોડો ઉછાળો આવ્યો છે. જો કે અહીં આજે પણ લોકો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓમાં માનતા હોવાથી વેક્સિનેશન ધીમું થઈ રહ્યું છે, જે તંત્ર માટે ચિંતાજનક છે.
આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન
આ પણ વાંચો : RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર