‘જતીન સોની સામે ફોજદારી કાર્યવાહી કરો’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મામલે NSUIનું હલ્લાબોલ
જતીન સોનીને શારિરીક શિક્ષણનો ચાર્જ પણ છોડાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. એનએસયુઆઈએ આ કૌભાંડમાં કુલપતિ અને ઉપકુલપતિ પણ સંડોવાયેલા હોવાથી જતીન સોનીને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ના કથિત માટી કૌભાંડ (Soil Scam)ને લઈને રજીસ્ટ્રાર જતીન સોની (Jatin Soni)એ રાજીનામું આપ્યા બાદ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરીને ફોજદારી કેસ દાખલ કરવાની માંગ સાથે એનએસયુઆઈ (NSUI)એ વિરોધ કર્યો હતો. એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કરતા કહ્યું હતું કે સામાન્ય રીતે યુનિવર્સિટીના કોઈ કર્મચચારી પર તપાસ ચાલતી હોય તો તેઓ રજા પર ન ઉતરી શકે, પરંતુ જતીન સોની ચાલુ તપાસે રાજીનામું પણ આપ્યું અને રજા પર પણ ઉતરી ગયા.
ત્યારે જતીન સોનીને શારિરીક શિક્ષણનો ચાર્જ પણ છોડાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. એનએસયુઆઈએ આ કૌભાંડમાં કુલપતિ અને ઉપકુલપતિ પણ સંડોવાયેલા હોવાથી જતીન સોનીને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. એનએસયુઆઈએ જતીન સોનીને શારિરીક શિક્ષણ વિભાગના ચાર્જમાંથી પણ દૂર કરવાની માંગ કરી હતી.
માટી કૌભાંડની તપાસ કમિટીને પણ કરી રજૂઆત
એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તપાસ કમિટીને પોતાની રજૂઆત કરી હતી. સિન્ડીકેટ હોલમાં ચાલી રહેલી તપાસ કમિટીની બેઠકમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પ્રવેશ કરીને કમિટીને આ અંગે તટસ્થ રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું હતુ અને કમિટીના સભ્યોને ચીમકી આપતા કહ્યું હતુ કે જો જતીન સોનીને છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જતીન સોનીના બચાવમાં જોવા મળ્યા કુલપતિ ડો.નિતીન પેથાણી
કથિત માટી કૌભાંડની તપાસમાં કુલપતિ ડો.નિતીન પેથાણી જતીન સોનીનો બચાવ કરતા જોવા મળ્યા હતા. ડો પેથાણીએ બચાવ કરતા કહ્યું હતુ કે જતીન સોનીએ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટીના કોઈ કર્મચારીને પદ પર રહેવા દબાણ કરી શકાય નહીં. તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કોઈ કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: PORBANDAR : ભાદર ડેમના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોની કવાયત, ડેમના બે દરવાજા બંધ કરવાની કામગીરી
આ પણ વાંચો: Rajkot: સગર્ભા મહિલાની પૂર્વ પતિએ કરી હત્યા, હત્યા કરી ફરાર આરોપીને રાહદારીએ પકડી પાડ્યો