ફરી વિવાદોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પ્રોફેસરોની ભરતી મામલે અનુસૂચિત આયોગે કુલપતિ પાસે માગ્યો જવાબ
Rajkot : પ્રોફેસરોની ભરતીમાં અનામત ક્વોટા ન જળવાતા NSUI અને યુવક કોંગ્રેસે આયોગમાં ફરિયાદ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) કરાર આધારિત પ્રોફેસરોની ભરતીનો મામલો ગરમાયો છે,હવે અનુસૂચિત આયોગે કુલપતિ પાસે જવાબ માંગ્યો છે.તમને જણાવી દઈએ કે, પ્રોફેસરોની ભરતીમાં અનામત ક્વોટા ન જળવાતા NSUI અને યુવક કોંગ્રેસે આયોગમાં ફરિયાદ કરી હતી.તેમણે આરોપ લગાવ્યો હતો કે, પ્રોફેસરોની ભરતીની (Professor Recruitment) જાહેરાતમાં બક્ષીપંચ અને અનુસૂચિતના વિદ્યાર્થીઓની ક્વોટામાં ફાળવણી કરવામાં આવી ન હતી.તેથી હવે ઇન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણીએ 30 દિવસમાં આ અંગે જવાબ રજૂ કરવો પડશે.
યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીને લઇ યુથ કોંગ્રેસ (Youth Congress) મેદાનમાં ઉતર્યું હતુ. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી પારદર્શક રીતે થાય તે અંગે રજૂઆત કરી હતી.
બીજી તરફ કોંગ્રેસનો(Congress) આક્ષેપ છે કે ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો અમલ થતો નથી. સાથે જ માંગ કરી હતી કે જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે.અને ઉમેદવારોએ (Candidates) પોસ્ટ મારફતે મોકલેલ અરજીઓ મોડી પહોંચી હોય તો તેને માન્ય રાખવામાં આવે, તો બીજી તરફ કુલપતિએ અધ્યાપકની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તમામ તૈયારી કરી લીધી હોવાનો દાવો કર્યો છે.