રાજકોટમાં આજી નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, ધસમસતા પ્રવાહથી રામનાથ મહાદેવને નદીએ કર્યો જળાભિષેક- Video
રાજકોટ છેલ્લા 48 કલાકથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. તમામ નદી-નાળા ભયજનક સપાટી પર પહોંચ્યા છે. સમગ્ર રાજકોટ શહેર જાણે ટાપુમાં ફેરવાઈ ગયુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય તેવા દૃશ્યો પણ જોવા મળ્યા.
રાજકોટમાં છેલ્લા 48 કલાકથી વધુ સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર રાજકોટ શહેરમાં જાણે ટાપુ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. મેઘરાજા બે દિવસથી ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, આજ સવારે પણ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ છે અને છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં આજી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. આજી નદી પણ ગાંડીતૂર બની છે. આ સમયે રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આજી નદી સ્વયંભુ રામનાથ મહાદેવને જળાભિષેક કરતી હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે.
આજી નદી પટના અનેક વિસ્તારો ખાલી કરાવાયા
જે રીતે આજી ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે આજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. હાલ આજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. રાજકોટના જંગલેશ્વર, રામનાથપરા, સંતોષીનગર, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. પાણીનો ધસમસમતો પ્રવાહ અવિરત ચાલુ હોવાથી ભયજનક સ્થિતિનું નિર્માણ પામી છે.
મોટી સંખ્યામાં આજી નદી કાંઠા વિસ્તારમાં પોલીસકર્મીઓને કરાયા તૈનાત
આજી નદીના કાંઠા વિસ્તારમાંથી 100થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નદીકાંઠાના વિસ્તારમાં લોકો ન જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવી દેવાયા છે અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. કાંઠા વિસ્તારના તમામ ઘરોને પોલીસ દ્વારા ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આજી નદી પટના વિસ્તારમાં તૈનાત કરી દેવાયો છે. જેથી લોકો જળસ્ત્રાવની નજીક કોઈ જઈ ન શકે અને કોઈ દુર્ઘટના ના ઘટે.
નદીકાંઠા વિસ્તારમાં પોલીસ, NDRF, ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસક્યુ કામગીરી
નદી કાંઠા વિસ્તારમાં પોલીસકર્મીઓ, ફાયર બ્રિગેડની ટીમ સતત ચેકિંગ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. જ્યાં પણ નજર પડે ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. સર્વત્ર સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ પોલીસકર્મી, મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મીઓ અને NDRના જવાનો સતત ખડેપગે રેસક્યુ કામગીરી કરી રહ્યા છે અને 55 થી 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના પુષ્કળ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો પોલીસકર્મીઓ અને ફાયરના કર્મીઓની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો