Rajkot Breaking News : TV9 ના અહેવાલની ઇમ્પેક્ટ ! AIIMS રાજકોટ રોડના મુદ્દે આખરે તંત્ર જાગ્યું, સમારકામની કામગીરી શરૂ – જુઓ Video
જામનગર રોડથી AIIMS રાજકોટ તરફ જતાં રસ્તાની બિસ્માર હાલતને લઈને ઉઠેલા જનઆક્રોશ વચ્ચે આખરે તંત્ર દ્વારા સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ-જામનગર રોડથી AIIMS સુધીના બિસ્માર રસ્તાને લઈને ઉઠેલા મુદ્દે હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રસ્તાની ખરાબ હાલતને લઈને લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી હતી. આ મામલે TV9ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને બિસ્માર રોડના સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
રસ્તાના સમારકામને લઈને ઈજનેરે ખાતરી આપતા ભાજપના નેતા નાગદાન ચાવડાએ પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું છે. તેમણે જણાવ્યું છે કે આંદોલન કરવું મારી જૂની ટેવ છે. લોકોને હાલાકી પડી રહી હતી. જેના કારણે અમે આંદોલનની જાહેરાત કરી હતી. નાગદાન ચાવડાએ વધુમાં જણાવ્યું કે રસ્તાના સમારકામ અંગે ઈજનેરે ખાતરી આપી છે. સાથે જ તેમણે સમગ્ર મુદ્દાને વાચા આપવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો.
લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો રસ્તો
જામનગર રોડ પર પરાપીપળીયા ગામના જંકશનથી AIIMS રાજકોટ તરફનો આશરે 900 મીટરનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિકો, વાહનચાલકો તેમજ AIIMSમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
રોડ રોકો આંદોલનની આપવામાં આવી હતી ચીમકી
આ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ માર્ગ અને મકાન વિભાગને કડક પત્ર લખી રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી. જો કામ શરૂ નહીં કરવામાં આવે તો ખંડેરી અને પરાપીપળીયા ગામના સ્થાનિકો સાથે રોડ રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
નાગદાન ચાવડાએ જાહેર કરેલું આંદોલન હાલ રાખ્યું મોકૂફ
દરમિયાન TV9 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર અને ઈજનેરો દ્વારા રસ્તાનું કામ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ખાતરી બાદ બિસ્માર રસ્તાના રિપેરિંગ અને મેટલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સમારકામની કામગીરી શરૂ થતાં નાગદાન ચાવડાએ જાહેર કરેલું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલતી મુશ્કેલી બાદ રસ્તાના કામની શરૂઆત થતાં રાહતની આશા જાગી છે.
