રાજ્યમાં ઠેરઠેર ખાડાગ્રસ્ત બનેલા રસ્તાથી જનતા પરેશાન, લોકો જાતે રસ્તા પર માટીનું પુરાણ કરવા મજબુર, છતા તંત્ર ઘોર નીંદ્રામાં
Poor Roads: રાજ્યમાં એકપણ જિલ્લો કે શહેર એવુ નથી જ્યાં રસ્તા પર ખાડા ન હોય. આ ખાડાની સમસ્યાએ અજગર ભરડો લીધો છે, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતા તંત્રના અધિકારીઓના પેટનુ પાણી નથી હલતુ અને રસ્તાઓની મરમ્મતની કોઈ કામગીરી પણ થતી નથી.
રાજ્યમાં વરસાદે તો વિરામ લીધો છે છતા તંત્રના પાપે લોકોને બિસ્માર રસ્તાઓમાંથી મુક્તિ નથી મળતી. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર-કચ્છ,(Saurashtr- Kutch) રાજ્યમાં એકપણ વિસ્તાર એવો નથી જ્યાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ (Potholes)ને કારણે જનતા ત્રસ્ત ન હોય. એકપણ નગર કે ગામ એવુ નથી જેના રસ્તા સમથળ હોય. જ્યાં રસ્તા પર ખાડા ન હોય. રાજ્યના દરેક શહેરના રસ્તાઓની હાલત એટલી હદે દયનીય બની છે કે તેના પરથી વાહન લઈને પસાર થવુ કોઈ સાહસ ખેડવાથી ઓછુ નથી. ઉબડખાબડ રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો (Citizens) રોજ તંત્ર સામે રોષ ઠાલવી રજૂઆત કરે છે, પરંતુ તંત્ર રસ્તાઓના સમારકામના નામે માત્ર વાયદાઓ કર્યા કરે છે કામગીરી કરતુ નથી.
મહેસાણા બાયપાસ રોડની દયનિય સ્થિતિ
મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણા બાયપાસ પાલનપુરનો રોડ પણ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા લોકોને ભારે પારાવારા હાલાકી પડી રહી છે. કમરના દુ:ખાવા અને મણકા ખસી જવા સહિતની સમસ્યાનો વાહનચાલકો ભોગ બની રહ્યા છે. છતા RNB વિભાગ રસ્તાના સમારકામની કોઈ કામગીરી કરતુ નથી. રસ્તા પરના ખાડાથી ત્રાહિમામ પોકારેલા સ્થાનિકોએ જાતે રોડ પર માટી પુરવાની કામગીરી કરવી પડી એટલી હદે તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. સ્થાનિકોનો આરોપ છે કે જે રિંગરોડ બનાવ્યો તે છેલ્લા 12 મહિનાથી બિસ્માર બન્યો છે, પરંતુ રોડ પર કોઈ પેચવર્કની કામગીરી કરાઈ નથી.
ગોધરામાં ખાડાથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ
આ તરફ પંચમહાલમાં જ આ જ સ્થિતિ છે. જિલ્લામાં આવેલ ગોધરા નગર ખાડા નગર બન્યુ છે. રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. શહેરનો રેલવે સ્ટેશન રોડ હોય કે બસ સ્ટેશન રોડ, શહેરા ભાગોળ, પાવરહાઉસ, ભુરાવાવ, સિગ્નલ ફળિયા સહિતના તમામ રસ્તાઓ પર ખાડાગ્રસ્ત બન્યા છે અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. ટ્રાફિથી ધમધમતા નગરના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક આ ખાડાગ્રસ્ત બનેલા રોડની મરમ્મત કરે તેવી ચોમેરથી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
વંથલી સોમનાથ ફોર ટ્રેક બન્યો ખાડાગ્રસ્ત
જૂનાગઢની જો વાત કરીએ તો ત્યાં પણ સ્થિતિ બહુ સારી નથી, રસ્તા પર ખાડારાજ જોવા મળે છે. વંથલી સોમનાથ ફોરટ્રેક ખાડાગ્રસ્ત બન્યો છે. ફક્ત બે વર્ષ પહેલા બનેલો ફોરવે બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના બદલે જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનોએ ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના માર્ગો અને રાજમાર્ગો પર પડેલા ખાડાઓથી જનતા ત્રસ્ત છે, અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે ત્યારે તંત્રની આંખ ક્યારે ખૂલે છે તે જોવુ રહેશે.