ગોધરામાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો, પોલીસે તપાસ હાથ ધરી
ગોધરાની શિવ શક્તિ સોસાયટીના સ્થાનિકોના મતે સિંધી પરિવારના મકાનમાં રાત્રીના સમયે ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. તેમજ સ્થાનિક લોકોના હોબાળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરી હતી
ગુજરાતના (Gujarat) ભરૂચમાં ધર્માંતરણના સામે આવેલા કિસ્સા બાદ લોકોમાં પણ જાગૃતિ આવી છે. જેમાં ગોધરાના (Godhra) ભૂરાવાવ વિસ્તારમાં કથિત ધર્મ પરિવર્તન(Religious Conversion)કરાવાતુ હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ કિસ્સામાં શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
જેમાં સ્થાનિકોના મતે સિંધી પરિવારના મકાનમાં રાત્રીના સમયે કથિત ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. તેમજ સ્થાનિક લોકોના હોબાળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરી હતી. જેમાં તપાસમાં નડિયાદથી આવેલા 10થી વધુ ખ્રિસ્તીધર્મના લોકો મળી આવ્યા હતા. તેમજ મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થડે પાર્ટી હોઈ મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.
જો કે તેમ છતાં કથિત ધર્મપરિવર્તન માટે જ કાર્યવાહી થતી હોવાની સ્થાનિકોએ ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં રજૂઆતને પગલે તમામ લોકોને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક આગેવાનોએ કથિત ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે ગોધરા પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી.
પોલીસનું કહેવું છે કે- 12 જેટલા લોકો બહારથી આવ્યા હતા. જેઓ ખિસ્તી ધર્મના હતા. આસપાસના લોકો અને ધાર્મિક સંગઠનોએ ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ કર્યો છે..તેમની અરજીના આધારે તપાસ ચાલી રહી છે.. બહારથી જે લોકો આવ્યા હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે..
લોકોએ કરેલા આરોપના આધારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ ચાલુ છે.. તપાસ દરમિયાન કંઈ વાંધાજનક જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
આ પણ વાંચો : સુરત માર્કેટયાર્ડમાં બારદાનની અછતના પગલે ખેડૂતો મુશ્કેલીમાં, ડાંગર સડી જવાની ભીતિ
આ પણ વાંચો : ગોંડલ અકસ્માતના મૃતકોના વારસોને રાજય સરકારે સહાયની જાહેરાત કરી