OBC નેતા નરેન્દ્ર બાપુને ગોવિંદ પટેલના સ્થાને રાજકોટ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવી છે ?
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર બાપુ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે આ માટે તેઓએ આ વિસ્તારમાં લોક સંપર્ક પણ શરૂ કરી દીધો છે.
વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.દરેક રાજકીય વ્યક્તિઓ પોતાનું પ્રભુત્વ જાળવવા માટે સક્રિય થયા છે ત્યારે રાજકોટના ઓબીસી નેતા અને આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ઉર્ફે નરેન્દ્ર સોલંકીએ ઓબીસી સમાજને અન્યાય થતો હોવાની વાત કહીને રાજકીય બ્યુંગલ ફુંકી દીધું છે.
આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ઉર્ફે નરેન્દ્ર સોલંકી વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય થયાં.
બુધવારે ભક્તિનગર સર્કલ નજીક આવેલી શ્યામવાડીમાં નરેન્દ્ર બાપુની આગેવાનીમાં કડિયા સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરેન્દ્ર બાપુએ નિવેદન કર્યુ હતું કે શરૂઆતથી જ ઓબીસી સમાજને રાજકીય અન્યાય થઇ રહ્યો છે.નરેન્દ્ર બાપુએ કડિયા સમાજને અને ઓબીસી સમાજને યોગ્ય પ્રતિનિધીત્વની માંગ કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
નરેન્દ્ર બાપુને રાજકોટ દક્ષિણ બેઠક પરથી લડવાની ઇચ્છા !
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર બાપુ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે આ માટે તેઓએ આ વિસ્તારમાં લોક સંપર્ક પણ શરૂ કરી દીધો છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ તો શરૂઆત છે હજુ આગામી દિવસોમાં પોસ્ટર,સ્નેહમિલન સહિતના પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવી શકે છે.
તો શું ગોવિંદ પટેલનું પત્તુ કપાશે?
એક તરફ નરેન્દ્ગ બાપુએ રાજકોટ દક્ષિણ બેઠક પર પોતાનું લોબિંગ શરૂ કર્યુ છે ત્યાં બીજી તરફ સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ગોવિંદ પટેલનું પત્તુ કપાઇ જશે ? અગાઉ સી આર પાટીલ પણ નિવેદન કરી ચૂક્યા છે કે ૧૦૦ જેટલા ધારાસભ્યોને રિપીટ કરવામાં નહિ આવે ત્યારે ગોવિંદ પટેલનું નામ પણ ૧૦૦ ધારાસભ્યોની યાદીનાં હોય તો નવાઇ નહિ.સાથે સાથે આ બેઠક પર અન્ય પાટીદાર અને ઓબીસી નેતાઓ પણ પોતાનું લોબિંગ કરી રહ્યા છે.
કોણ છે નરેન્દ્ર સોલંકી ઉર્ફે નરેન્દ્ર બાપુ ?
નરેન્દ્ર સોલંકી રાજકોટના રાજકારણમાં વર્ષોથી સક્રિય છે.તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે.આ ઉપરાંત તેઓ શહેર ભાજપમાં સંગઠનમાં અને પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચામાં હોદ્દાદાર રહી ચૂક્યા છે.સતાધારની ભગીની સંસ્થા એવી રાજકોટ ચોટીલા હાઇ વે પર આવેલ આપાગીગાના ઓટલાના તેઓ મહંત છે અને વિશાળ સેવક વર્ગ ધરાવે છે.છેલ્લા થોડા સમયથી તેઓ જુનાગઢ સાધુ સમાજમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે.