Navsari : એકજ દિવસમાં 3 કોરોના સંક્રમિત દર્દી મળી આવ્યા, પ્રવાસ દરમ્યાન સંક્રમિત થયા હોવાનું અનુમાન, આરોગ્યવિભાગ સતર્ક બન્યું
નવસારી જિલ્લામાં ત્રણ લહેર પછી ફરી સામે આવી રહેલા સંક્રમણના મામલાઓમાં એક્ટિવ કેસોમાં વધારો થઈ 6 થયા છે જેમાં 5 દર્દી હોમ આઇસોલેશનમાં છે જ્યારે અન્ય 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દેશમાં ફરીએકવાર કોરોના(Corona) માથું ઉંચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળુ વેકેશન બાદ ફરીએકવાર કોરોના સંક્ર્મણના મામલા સામે આવી રહ્યા છે. નવસારી(Navsari)માં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નવસારી જિલ્લામાં ઘણા સમય બાદ એક જ દિવસમાં 3 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ દર્દીઓ પૈકી 2 કેસ વિજલપોરમાં અને 1 સરીબુજરંગમાં સામે આવ્યો છે. કોરોનના લક્ષણો જણાય બાદ દર્દીઓના RTPCR ટેસ્ટ કરાવવામાં આવતા તેમના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. દેશમાં ઘણા સમયથી કોરોના લગભગ ગાયબ થઈ ગયો હતો પણ હવે ફરી પોઝિટિવ કેસ સામે આવી રહયા છે.મંગળવારે ઘણા સમય પછી એક જ દિવસે 3 નવા કેસો સરકારી ચોપડે નોંધાયા છે.
ત્રણ દર્દીઓમાં વિજલપોરની 55 વર્ષીય મહિલા અને વિજલપોરની જ 8 વર્ષીય બાળકી સંક્રમિત મળી આવ્યા છે. આ ઉપરાંત ગણદેવી તાલુકાના સરીબુજરંગની 47 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ દર્દી તરીકે સારવાર લઇ રહી છે. 3 કેસના ઉમેરા સાથે નવસારી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 11938 થઈ ગઈ છે.આ સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 11722 છે.
દર્દીઓમાં સામાન્ય લક્ષણ
નવસારી જિલ્લામાં ત્રણ લહેર પછી ફરી સામે આવી રહેલા સંક્રમણના મામલાઓમાં એક્ટિવ કેસોમાં વધારો થઈ 6 થયા છે જેમાં 5 દર્દી હોમ આઇસોલેશનમાં છે જ્યારે અન્ય 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંગળવારે જે કેસ સામે આવ્યા છે તેમાં સરીબુજરંગની મહિલાની મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય દર્દીમાં બીમારીના ગંભીર લક્ષણ જણાય નથી અને હોમ આઇસોલેશન હેઠળ જ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રમાં ફરી વધી કોરોનાની રફ્તાર
મહારાષ્ટ્રમાં કોરોના સંક્ર્મણની ઝડપ બેકાબૂ બની રહી છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના કેસ ત્રણ હજારને આંબી ગયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના 2,956 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં 4 લોકોના મોત પણ થયા છે. હાલમાં રાજ્યમાં કોરોના મૃત્યુ દર 1.86 ટકા છે. સૌથી વધુ કેસ મુંબઈમાંથી નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના 1,724 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 2165 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં રિકવરી રેટ 97.9 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,49,276 લોકો કોરોનાથી સાજા થયા છે.
મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં આજે કુલ 18,267 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. મુંબઈમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા હતા. મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 11,813 નોંધાઈ છે.