ભરૂચમાં માત્ર 2 ઇંચ વરસાદમાં નેશનલ હાઇવે ધોવાયો !!! વાહનોની 12 કિમી સુધી કતાર જોવા મળી
નવા સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધી ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે વડોદરાથી સુરત તરફની લેનમાં નબીપુર સુધી વાહનોની કતાર જોવા મળી હતી. હાઇવે પર 12 કિલોમીટર સુધી ચક્કાજામના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા.
ચાલુ વર્ષે ઓછા વરસાદની બૂમો પડી રહી છે પરંતુ વરસાદના કારણે રસ્તાઓના ધોવાણની સમસ્યાઓ ઠેરનીઠેર છે. ભરૂચ જિલ્લામાં ભાદરવાના એક જ વરસાદે નેશનલ હાઇવે 48 ઉપર મસમોટા ખાડા પાડયા છે. ચોમાસાના પ્રારંભે સર્જાયેલી ટ્રાફિકજામની સમસ્યા જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ બાદ ફરી વિકરાળ બની છે.
નવા સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધી ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે વડોદરાથી સુરત તરફની લેનમાં નબીપુર સુધી વાહનોની કતાર જોવા મળી હતી. હાઇવે પર 12 કિલોમીટર સુધી ચક્કાજામના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા.
વરસાદના ઘણા દિવસના વિરામ વચ્ચે મેન્ટેનન્સની કોઈ ખાસ કામગીરી કરાઈ ન હતી. મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ફરી હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આજે સવારથી જ નેશનલ હાઇવે ઓથોરિટીએ ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને હાલાકી વચ્ચે ચક્કાજામનિ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હાઇવે ઉપર ચોમાસામાં ઠેર ઠેર પડતા ખાડા અને તેના પગલે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા વરસાદ સાથે જ વકરે છે. ચોમાસાના પ્રારંભે પણ ભરૂચ નજીક હાઇવે ઉપર આ જ સ્થિતિ જોવા મળી હતી ત્યારે સમસ્યાના પુનરાવર્તનને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાહન ચાલકો પાસેથી દરરોજનો લાખોનો ટોલ ટેક્સ વસૂલવા છતાં સારા રસ્તાના નામે જે સુવિધા મળી રહી છે તે પ્રશ્નાર્થ ઉભા કરે છે. સંબંધિત ઓથોરિટી રસ્તાને દુરસ્ત રાખવામા ઉણી ઉતરી રહી હોવાની લાગણી વાહન ચાલકો વ્યકત કરી રહ્યાં છે. હાઈવેની દુર્દશાના કારણે હજારો વાહન ચાલકોના માનવ કલાકો વેડફાવા સાથે ઇંધણનો પણ વ્યય થઈ રહ્યો છે. સમયસર માલસમાનની ડિલિવરી નહિ થતા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ વિપરીત અસરનો સામનો કરી રહ્યું છે.
NH 48 ઉપર વડોદરાથી સુરત તરફ જવા માત્ર 2 લેનનો નવો સરદારબ્રિજ ઠેર ઠેર ગાબડાથી છવાયો છે 24 કલાકમાં પસાર થતા 20 હજાર સુધી વધુ વાહનો પ્રતિ કલાકે માંડ 5 થી 10 કિલોમીટરની ઝડપે પસાર થઈ શકતા હોય સમસ્યા સર્જાઈ રહી છે. જૂનો સરદાર બ્રિજ જોખમી હોય તેના પરથી માત્ર હળવા જ વાહનો પસાર થઈ શકે છે. આ પરિસ્થિતિથી વાકેફ NHAI એ નવા સરદારબ્રિજ અને તેને સંલગ્ન 2 લેનના માર્ગની સાર સંભાળ નિયમિત રીતે કરે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , SEBI લાગુ કરી રહી છે આ નવો નિયમ , જાણો શું પડશે અસર ?