Narmada: વેકેશન દરમિયાન પોઇચાના તીર્થ સ્થાન નિલકંઠ ધામમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો
નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા તીર્થધામ અને પ્રવાસન સ્થળ પોઇચામાં પ્રવાસીઓનો (Tourists) ધસારો વધ્યો છે. લગભગ 105 એકરમાં ફેલાયેલા આ મંદિરમાં રજાના દિવસોમાં મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતીઓને ફરવાના ખૂબ જ શોખીન માનવામાં આવે છે. ઓફિસ કે કામ પર એક દિવસની રજા મળે ત્યારે પણ તેઓ કાર લઈને ફરવા માટે નીકળી પડે છે. હાલમાં શાળાનું વેકેશન (Vacation) ચાલી રહ્યુ છે ત્યારે નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા તીર્થધામ અને પ્રવાસન સ્થળ પોઇચામાં પણ પ્રવાસીઓનો (Tourists) ધસારો વધ્યો છે. લગભગ 105 એકરમાં ફેલાયેલા આ મંદિરમાં રજાના દિવસોમાં મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી નજીકનું સ્થળ
વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય નિલકંઠ ધામ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2013માં બનેલું આ સ્વામિનારાયણ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. મંદિરની વાસ્તુકલા જોવા લાયક છે. અહીંના મંદિરમાં આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે સાથે પોઇચાની પણ મુલાકાત લે છે અને ધાર્મિક તેમજ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે.
પોઇચામાં અનેક નાના-મોટા મંદિરો
આ મંદિર નર્મદા તટે આવેલુ છે અને નીલકંઠધામ અને સહજાનંદ યુનિવર્સ એમ બે ભાગોમાં વહેંચાયેલું છે. મંદિરના દ્વાર પર ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ છે. તો મંદિરની અંદર વિશાળ સરોવર બનેલું છે. જેની વચ્ચે, શિવલિંગ, ગણેશજી, હનુમાનજીના મંદિર સાથે અન્ય ઘણા નાના-નાના મંદિરો છે. ઉનાળુ વેકેશન હવે સમાપ્ત થવાના આરે આવી ચુકયું છે ત્યારે રાજયના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જામી રહી છે. નર્મદા જિલ્લાના સુપ્રસિધ્ધ પ્રવાસન સ્થળ પોઇચા ખાતે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં.
મોટુ પ્રવાસન ધામ બન્યુ પોઇચા
પોઇચા સ્વામિનારાયણ નીલકંઠ ધામ આસ્થાના કેન્દ્ર સાથે સૌથી મોટું પ્રવાસન ધામ પણ બન્યું છે. અહીંયા કોઈ પણ સીઝનમાં પ્રવાસીઓ મજા માણી શકે છે અને ઉનાળા માટે સ્વિમિંગ પૂલ ખાસ બનાવવામાં આવ્યો છે જેમાં ન્હાવાની મજા આવે છે. ત્યારે હાલમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.