મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ, જીવિત સમાધિ લીધી હોવાનો દાવો- Video
ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખોદકામ દરમિયાન એક કંકાલ મળ્યુ છે. આ કંકાલ મળતા ઈતિહાસ અને આસ્થા સાથે સંબંધિત સવાલો ફરી એકવાર ઉઠ્યા છે. મળી આવેલુ કંકાલ 1000 વર્ષ જૂનુ છે અને કોઈ સાધુનું હોવાનું જણાવાઈ રહ્યુ છે.
ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં એક સાધુનું 1000 વર્ષ જુનુ કંકાલ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. એક ખોદકામ દરમિયાન આ કંકાલ મળી આવ્યુ છ. જ્યારે એક જમીનમાં ખોદકામ ચાલી રહ્યુ હતુ ત્યારે આ કંકાલ નીકળ્યુ હતુ. જેને જોઈને પુરાતત્વવિદ્દો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. એવુ જણાવવામાં આવે છે કે આ કંકાલ યોગ મુદ્રામાં બેસેલુ મળ્યુ છે. DNA તપાસ બાદ ખૂલાસો થયો છે કે આ કંકાલ કોઈ સાધુનું છે જેમણે જીવિત જ સમાધી લીધી હશે.
ભારતમાં આ પ્રકારની મુદ્રામાં પ્રથમ વખત કોઈ સંતનું કંકાલ મળી આવ્યું છે, જેમા હવે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ ઉમેરાયુ છે. જો કે હજુ સુધી હાડપિંજરને યોગ્ય જગ્યા મળી શકી નથી. હાલમાં તેને વડનગરમાં સાદા ટેન્ટમાં રાખવામાં આવ્યુ છે.
તાજેતરમાં વડનગરમાં કરોડોના ખર્ચે અત્યાધુનિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ઐતિહાસિક હાડપિંજરને તેમાં સ્થાન મળ્યું નથી. ગુજરાત પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયમનકાર ડૉ.પંકજ શર્માએ આ સમગ્ર મામલે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ હાડપિંજર ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં છે અને તેને તાત્કાલિક સંગ્રહાલયમાં રાખવું તકનીકી રીતે શક્ય નથી.
ડૉ.પંકજ શર્માએ જણાવ્યું હતું કે હજારો વર્ષોથી જમીનમાં સુરક્ષિત રહેલા આ હાડપિંજરને હવે ખુલ્લા વાતાવરણમાં રાખવા માટે ખાસ ટેકનોલોજીની જરૂર છે. જો તેને નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં નહીં આવે તો તેના વિનાશનો ભય રહેશે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ હાડપિંજરની માટી પણ હટાવવામાં આવી નથી, જેથી તેની રચનાને નુકસાન ન થાય. હાલમાં આ અંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. આ દુર્લભ શોધને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે કરોડોના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તો પછી આ ઐતિહાસિક વારસાને યોગ્ય સ્થાન અને સંરક્ષણ કેમ નથી મળી રહ્યું.