Kheda : સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું
ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયામાંથી આયુર્વેદિક ચિકિત્સા માટે મહાગુજરાત સોસાયટી સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવે છે. જે રોગનો ઇલાજ કોઇ સ્થળે ના હોય તેવા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે
ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં(Nadiad) મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું(Maganbhai Adenwala Maha Gujarat University) લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી સન્માન કરવા માટે તેમની બેઠક સુધી સામે ચાલીને ગયા હતા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આયુષમાન ભારત યોજના હેઠળ પીએમ જય કાર્ડનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સમયની જરૂરિયાત મુજબ ડિઝીટલ યુગમાં ઘર બેઠા શિક્ષણ મળે તેવી વ્યવસ્થાઓ ઉભી કરી શિક્ષણને વધુ સુલભ અને સરળ બનાવ્યું છે. છાત્રોની તમામ પ્રકારની જરૂરિયાતોને રાજ્ય સરકાર દ્વારા ધ્યાને રાખવામાં આવે છે.તેમણે ઉમેર્યું કે, ગુજરાતે સમયની માંગ સાથે આગળ વધતા નાનામાં નાના અને છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખી કૃષિ, શિક્ષણ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. જેના પરિણામે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું સ્મરણ કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે નડિયાદની ધરતી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા સાક્ષરો ગોવર્ધનરામ ત્રિપાઠી અને બકુલભાઇ ત્રિપાઠી, મણીલાલ દ્વિવેદી જેવા અનેક માનવરત્નોનું આઝાદીના અમૃત કાળે મુખ્યમંત્રીએ સ્મરણ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજશ્ચંદ્રવજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પણ નડીયાદની ભૂમિ પણ કરી હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની સ્થાપના
દેશના અમૂલ્ય વારસાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હી સ્થિત અક્ષરધામ પ્રદર્શની ઘણા લોકોએ જોઇ હશે, તેમાં ભારતના ભવ્ય અને દિવ્ય ભૂતકાળની ઝાંખી આપવામાં આવી છે. જે બાબતોને સમગ્ર દુનિયા અનુસરી રહી છે, તે બાબતો ભારત છેલ્લા પાંચ હજાર વર્ષથી અપનાવી રહ્યું છે.કોરોના મહામારી દરમિયાન આપણા ઘરગથ્થુ ઇલાજો કેટલાક લાભકારી છે, તે બાબતનો ખ્યાલ આવ્યો હતો. આપણી પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ કોરોના મહામારીમાં ઘણી અસરકારક સાબીત થઇ હતી. આ પદ્ધતિને ગ્લોબલ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્રીય આયુષ મંત્રાયલના સહયોગથી જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની સ્થાપના કરી છે.
કોરોના સામે રક્ષણ માટે 200 કરોડ ડોઝ વિનામૂલ્યે આપી સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઘણી વખત કુદરત પણ પરિવર્તન માટે આપણને સંકેત આપે છે. કોરોના મહામારીમાં ઘણા દેશોએ પોતાની પ્રજાને રામભરોસે છોડી દીધી હતી, ત્યારે આવા કપરાકાળમાં પીએમ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળમંત્રને ધ્યાને રાખી દેશના નાગરિકોને કોરોના સામે રક્ષણ માટે 200 કરોડ ડોઝ વિનામૂલ્યે આપી સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું છે, તેની સાથે કોઇ ભૂખ્યુ ના સુવે તે માટે ગરીબોને મફત અનાજ આપી ક્ષૃધાતૃપ્તિનો યજ્ઞ આજ સુધી ચલાવ્યો છે.
ખેડા જિલ્લાના નાગરિકો પણ ઘરે ઘરે તિરંગો ફરકાવે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયામાંથી આયુર્વેદિક ચિકિત્સા માટે મહાગુજરાત સોસાયટી સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવે છે. જે રોગનો ઇલાજ કોઇ સ્થળે ના હોય તેવા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે. જે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની સિદ્ધિ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં આવશે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હર ઘર તિરંગા અભિયાન છેડ્યું છે. દેશ અને રાજ્યની સાથે ખેડા જિલ્લાના નાગરિકો પણ ઘરે ઘરે તિરંગો ફરકાવી માં ભારતીનું અને આપણા રાષ્ટ્રધ્વજનું યશગાન કરે, એવું આહ્વાન તેમણે કર્યું હતું.