ભુજ પાલિકા દ્રારા શહેરમાં કરવામાં આવતા વિકાસના કામ કોઇને કોઇ બાબતને લઇને ચર્ચામાં હોય છે. ભષ્ટ્રાચારની ફરીયાદ તો લગભગ દરેક કામમાં થાય છે. જો કે પાલિકાની આવી નીતિ સામે હવે પ્રાદેશિક કમિશનર કચેરીએ ગંભીર નોંધ લીધી છે. ભુજના ઍરપોર્ટ રોડ પર 2 કરોડ જેટલા ખર્ચે થઇ રહેલા ડીવાઈડરના બ્યુટીફિકેશન કામમાં કોગ્રેસના કાઉન્સીલર મરીયમબેન એચ. સમાની ફરીયાદના પગલે ચીફ ઓફીસરને કારણદર્શક નોટીસ આપી 3 દિવસમાં લેખીતમાં ખુલાસો કરવા જણાવ્યુ છે.
કોગ્રેસના કાઉન્સીલરે દ્રારા નિયત થયેલ પ્લાન મુજબ કામ ન થતુ હોવાની ફરીયાદ સાથે કામમાં ભષ્ટ્રાચારના આક્ષેપ કર્યા હતા. જે બાબતે પાલિકા તરફથી સંતોષકારક કામગીરી ન થતા પ્રાદેશિક કચેરીને આ અંગે ફરીયાદ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઇ ચીફ ઓફીસરને નોટિસ ફટકારી વિવિધ બાબતો પર લેખીત જવાબ આપવા જણાવી કામનુ ચુકવણુ યોગ્ય રીપોર્ટ બાદ કરવા જણાવ્યુ છે.
ચીફ ઓફીસરને સંબોધીને લખાયેલી નોટીસમાં જણાવાયુ છે કે, “આ કારણદર્શક નોટિસથી આપને ઉપરોક્ત વિષય અને સંદર્ભિત પત્રો અન્વયે જણાવવાનું કે ભુજ ના.પા. ના સદસ્ય મરીયમબેન એચ. સમાના પત્રો દર્શાવ્યા મુજબ ભુજ શહેરના 36 મીટર એરપોર્ટ રીંગરોડ પર રોડની મધ્યમાં ડીવાઈડરના ચાલતા બ્યુટીફીકેશન કામમાં અને મંજુર લે-આઉટ પ્લાન મુજબ ન થતો હોવા અંગેની ફરિયાદ અત્રે કરાઈ છે. જેથી કચેરીના પ્રોજેકટ ઇજનેર દ્વારા ઉક્ત વિગતના કામોની રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં સ્થળ પર થયેલુ કામ સ્પેસીફીકેશન મુજબ નથી થયુ તેવું ધ્યાનમાં આવ્યુ છે. તો શા માટે સ્થળ પર થયેલ કામ સ્પેસીફીકેશન મુજબ થયુ નથી તે બાબતનો આપનો સ્વયં સ્પષ્ટ વિગતવાર લેખિત અભિપ્રાય અત્રેની કચેરીને અસલમાં લેખીતમાં રજુ કરવામાં જણાવવામાં આવે છે.
વધુમાં આ કામોના થર્ડ પાર્ટી ઈન્સપેકશન એજન્સી તરીકે કામો ઉપર વ્યવસ્થિત ધ્યાન ન આપી તેમજ કામોની ગુણવત્તા બાબતે દાખવેલ બેદરકારીને ધ્યાને લેતાં આપને ચુકવવાપાત્ર બીલોની રકમ, સિક્યોરીટી ડિપોઝિટ, પરફોર્મેન્સ બોન્ડ, વગેરેને કેમ સ્થગિત ન કરવા ? તથા કેમ જપ્ત ન કરવા? તે બાબતેનો આપના દ્વારા નિયત સમયમર્યાદામાં લેખિતમાં અભિપ્રાય અત્રે રજુ નહિ થાય તો આપ આ અંગે કશું કહેવા માંગતા નથી એમ માની આપની સામે નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેશો. વધુમાં આ કામોના સુધારણા અંગેનો અત્રેથી રિપોર્ટ કર્યા બાદ જ ચુકવણા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
આ પણ વાંચો: Gujarati Video: કચ્છની ભુજમાં પાલિકા હસ્તકની કિંમતી મિલકતો શોભાના ગાંઠીયા સમાન
કોન્ટ્રાક્ટર સાથે મીલીભગતથી પાલિકા દ્રારા કરાયેલા ભષ્ટ્રાચારનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. જો કે અનેક લેખીત મૌખીક ફરીયાદ પછી પણ કાર્યવાહી ન થતા મામલો રાજકોટ કમિશનર કચેરીએ પહોચ્યો હતો જે બાબતે હવે લેખીત ખુલાસો કરવા જણાવાતા પાલિકા ભીંસમાં આવ્યુ છે. જો કે હવે લેખીત ખુલાસા પછી કમિશનર કચેરી શુ પગલા લે છે તે જોવુ રહ્યુ સાથે ભષ્ટ્રાચારના આક્ષેપ સાચા ઠરે છે કે નહી તે પણ સામે આવશે.