Kutch News : આજના યુગમાં કોઈને લાખો રૂપિયાના દર-દાગીના કે રોકડ રકમ ભરેલી બેગ રસ્તામાં મળે તો લોકોની દાનત બગડી જતી હોય છે, જો કે તે વચ્ચે એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેમાં પ્રમાણીકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી સમાજમાં નવી રાહ ચીંધે છે અને આવો જ એક પ્રમાણીકતાનો કિસ્સો રાપર (Rapar Taluka) તાલુકાના શાનગઢથી સામે આવ્યો છે. લાખો રૂપિયાના દાગીનાની (Jewellery) બેગ મળતાં પર ધનને પથ્થર સમજી મૂળ માલિક ફતેહગઢના નારણભાઇ ભ્રાસડિયાને પરત કરી પ્રામાણિકતાનું’ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. કોળી સમાજ અને મુળ માલિક જેની લાખો રૂપીયાની બેગ ખોવાઇ હતી તેમના દ્રારા યુવાનનું (Youth) સન્માન કરી તેને 50,000 રૂપિયાના રોકડ પુરૂષ્કારની જાહેરાત કરાઇ હતી.
સમગ્ર ધટના પર નજર કરીએ તો મુંબઈથી લગ્નપ્રસંગ માટે (Wedding Function) વતન આવેલા નારણભાઇ ભ્રાસડિયા લગ્નપ્રસંગ બાદ મુંબઈ જવા ફતેહગઢથી રાત્રે સામખિયાળી રેલવે સ્ટેશન ખાનગી વાહનમાં ગયા હતા. મોડી રાતની ટ્રેન પકડવાની હોવાથી પરિવાર સાથે સામાન લઈ ઉતર્યા ત્યારે ખબર પડી કે એક બેગ ક્યાંક રસ્તામાં પડી ગઈ છે એમણે તપાસ કરી તો તે કિંમતી બેગ હતી….! આ બાજુ રાતે પોતાને ખેતરેથી ભરતભાઇ ભલાભાઈ સાદુર નામનો યુવક પોતાના ટ્રેકટરમાં ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તામાં એક સૂટકેસ પડેલી જોઈ. બેગ ઘરે લઈ જઇ ખોલી, તો આંખો ચાર થઈ ગઈ.
કારણ કે આ બેગમાં લાખોના કિંમતી દાગીના હતા. અંદર એક કાગળ હતો બિલનો એમાં નારણભાઇના નંબર હતા. ક્ષણ ભરનો પણ વિલંબ કર્યા વગર તરત યુવકે નારણભાઇને ફોન કર્યો. તમારી કોઇ વસ્તુ ખોવાઈ છે ? હા…એ બેગ મારી જ છે. બાદમાં ફતેહગઢથી(Fatehgadh) નારણભાઇના ભાઇ અને સાથે આગેવાન જીવાભાઇ વાવિયા શાનગઢ ગયા.
સમગ્ર ધટનાની જાણ પટેલ સમાજના આગેવાનોને થતા આગેવાનો મહાદેવભાઇ વાવિયા, રાજુ પટેલ, દેવજીભાઇ ચૌધરી,સહિત ના આગેવાનોએ ભરતભાઇ કોળીનું ફતેહગઢ ખાતે જાહેરમાં પટેલ સમાજ તથા ગ્રામજનોવતી સન્માન કર્યું હતુ. ફતેહગઢ લેઉવા પાટીદાર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ફતેહગઢ લેઉવા પટેલ સમાજવાડી ભોજનાલય દ્વારા આ પંદર લાખના દાગીના પરત કરનાર યુવાનની પ્રસંશા સાથે તેને 50 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપ્યો હતો. પરંતુ કોળી પરિવારે હાથ જોડીને અસ્વીકાર્ય કર્યો હતો. બુધવારે કોળી સમાજે આ યુવાનનું આજે રાપર ખાતે સન્માન કરવામાં આવ્યુ હતુ.
જેમાં ઠાકોર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ સન્માનના કાર્યક્રમમાં અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ મહામંત્રી ડાયાલાલ ચાવડા ઉપપ્રમુખ મનિષભાઈ ઠાકોર મનસુખ ભાઈ પરસોંડ, અમરશીભાઈ પરસોંડ, તુલસી ભાઈ ઠાકોર, હરેશ પરમાર, સુર્ય શંકર ગોર ,નિતિન ઠાકોર,મોહનભાઇ ગોહિલકરશનભાઈ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ભરતભાઈની પ્રમાણિકતાને બિરદાવી હતી
Published On - 7:11 am, Thu, 19 May 22