જામનગરઃ રખડતાં ઢોરને દૂર કરવા તંત્ર 20 લાખના ખર્ચે હંકાવશે લાકડીઓ!
જામનગરમાં (Jamnagar) રખડતા ઢોરની સમસ્યા વ્યાપક બની છે ત્યારે હવે જામનગર મહાનગરપાલિકા કામચલાઉ ઉકેલ તરીકે 50 રોજમદારો કામે રાખશે. જે લાકડીઓથી ઢોરને હાંકશે અને રસ્તા વચ્ચેથી રખડતાં ઢોરને દૂર કરશે.
જામનગરના (Jamnagar) રસ્તાઓ પર તમને ઠેર ઠેર અથવા તો ચાર રસ્તા પર લાકડીઓથી ઢોર (Stray Cattle) હાંકતા ફરજપરસ્ત જવાનો જોવા મળે તો નવાઈ ન પામતા! કારણ કે શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા પાલિકાએ આ લોકોને ઓફિશ્યલ આ જ કામે રાખ્યા છે. હાલમાં શહેરમાં આવા રોજમદારો ફરજ બજાવી રહ્યાછે. જામનગર શહેરમાં રખડતા ઢોરથી ટ્રાફીકની તેમજ ઇજાઓ થવાની સમસ્યા થાય છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ કાયમી ઉકેલ કરવાના બદલે માટે તંત્ર દ્વારા કામચલાઉ ઉકેલ કરવામાં આવ્યો છે. માર્ગો પર લાકડીધારી રોજમદારોને મૂકીને રખડતા ઢોરને દૂર કરવામાં આવે છે.
સમસ્યાનો કામચલાઉ ઉકેલ માટે નિમ્યા રોજમદારો
જામનગર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર જોવાથી સ્થાનિક પરેશાન થયા છે. વારંવાર રખડતા ઢોરના કારણે નાના-મોટા અકસ્માતો બનતા હોય છે. ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા સમસ્યાનો કામચલાઉ ઉકેલ કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર 50 જેટલા રોજમદારોને રાખવામાં આવ્યા છે. 3 માસ સુધી આ રોજમદારો ફરજ બજાવશે. જે માટે અંદાજે 20 લાખનો ખર્ચ કરાશે. જે રોજમદારો લાકડી સાથે રસ્તા પર રખડતા ઢોર રસ્તા પર ના રહે તેની રખેવાડી કરશે.જો કોઈ રખડતા ઢોર રસ્તા પર ચડી આવે તો તેને લાકડ઼ીની મદદથી દુર કરવામાં આવે છે.
આ પ્રકારે મહાનગર પાલિકા દર વર્ષે આ રીતે કામચલાઉ રોજમદારો મુકે છે. જે માર્ગો પર અધિકારીઓ, શાસકોની અવર-જવર હોય ત્યાં આવા રોજમદારો મુકીને મુખ્ય માર્ગોથી ઢોરને તગડી દેવાનુ કામ તંત્ર કરે છે. રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન છે. તેનો કાયમી ઉકેલ ના મળતા આવા કામચલાઉ ઉકેલ કેટલાક વર્ષોથી અમલી છે. જેનાથી મુખ્ય માર્ગ પરથી ઢોરને દુર કરીને શેરીઓમાં ઢોરને તગડી મુકવામાં આવે છે. ત્યારે મુખ્ય માર્ગોમાં રખડતા ઢોરથી બચી શકાશે. પરંતુ શેરીમાં લોકોએ અવર-જવર માટે સાવચેત રહેવુ જરૂરી છે.
કામચલાઉ ઉકેલથી હજી સમસ્યા યથાવત્
શહેરમાં એક તરફ રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિક પરેશાન છે. તો બીજી તરફ તેના કાયમી ઉકેલ કરવાના બદલે કામચલાઉ જ ઉકેલ કરવામાં આવે છે. ઢોરને મુખ્ય માર્ગો પરથી દૂર કરતા તે અન્ય રસ્તા કે શેરીમાં જતા રહે છે. રખડતા ઢોરની સમસ્યાને સ્થાળાંતર કરવામાં આવે છે. પરંતુ તેનો ઉકેલ થયો નથી. જેના કારણે રખડતા ઢોરની સમસ્યા તો યથાવત જ છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ કરવાને બદલે સ્થાળાંતર કરવામાં આવે છે. જેનાથી મુખ્ય માર્ગો માંથી ઢોર દૂર થશે. પરંતુ રહેણાક વિસ્તારમાં શેરીઓમાં આ ઢોરથી ત્યાં રહેનારા લોકોની મુશ્કેલીનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ઢોરના કાયમી ઉકેલ માટે તંત્ર કામગીરી કરે તેવી માગ કરવામાં આવી છે. પરંતુ તંત્ર માત્ર મુખ્ય માર્ગો પરથી ઢોરને હાંકીને દુર કરીને સમસ્યા દુર થયો હોવાનો સંતોષ માને છે.