ચોમાસા પહેલાં કામગીરી પૂરી કેમ ન થઈ ? ₹50 લાખના ખર્ચ બાદ પણ નદીઓમાં કચરાનું સામ્રાજ્ય, જનતા પર પૂરનું સંકટ
એક તરફ રાજ્યમાં ચોમાસું જમાવટ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે જામનગર મહાનગરપાલિકા નિંદ્રાધિન હોય તેવો ઘાટ સર્જાયો છે. વાત એમ છે કે, જામનગર શહેરમાંથી નીકળતી રંગમતી નદીનો પ્રવાહ હાલ કાટમાળ અને વનસ્પતિથી ઘેરાયેલો છે.

જામનગર શહેરમાંથી નીકળતી રંગમતી નદીનો પ્રવાહ હાલ કાટમાળ અને વનસ્પતિથી ઘેરાયેલો છે. ખાસ કરીને નવાગામ ઘેડ વિસ્તારમાં નદીના પ્રવાહનો માર્ગ કાટમાળથી ભરેલો છે, જ્યારે આખી નદીમાં જ્યાં જુઓ, ત્યાં વનસ્પતિ અને વેલાઓ જ દેખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એપ્રિલ મહિનાથી વરસાદી પાણીના આવક અને જાવકના માર્ગો પર કામગીરી શરૂ કરી દેવાઈ હતી. નોંધનીય છે કે, આ પ્રિ-મોન્સૂન કામગીરી માટે લગભગ 50 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના દ્રશ્યો જોઈને આખરે રૂપિયા ક્યાં ખર્ચાયા તેવા સવાલો ઊઠી રહ્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ
જામનગરમાં દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં રંગમતી અને નાગમતી નદીના પાણી ભરાવાની મુખ્ય સમસ્યા રહેતી હોય છે. તેમ છતાંય હાલ નવાગામ ઘેડ, વિનાયક પાર્ક અને ગાંધીનગરના પાછળના વિસ્તારોમાંથી પસાર થતી નદીમાં સફાઈનું નામો-નિશાન નજરે નથી પડી રહ્યું.
વિનાયક પાર્કમાં રહેતી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા રહે છે અને આટલા વર્ષોમાં સફાઈ માટે મનપાની ટીમ માંડ એકાદવાર જ ફરકી હોવાના આક્ષેપ ઊઠ્યા છે.
માત્ર 90 ટકા કામગીરી પૂર્ણ, તંત્ર સામે ‘સવાલ’
આ સમગ્ર મામલે મનપાના અધિકારીના જણાવ્યા અનુસાર, ચોમાસું આવી પહોંચ્યું હોવા છતાં હજુ સુધી માત્ર 90 ટકા કામગીરી જ પાર પડી શકી છે. હવે ચોમાસા પહેલાં જ આ કામગીરી કેમ પૂરી ન થઈ તે સૌથી મોટો સવાલ છે. આ સંજોગોમાં જો શહેરમાં ધોધમાર વરસાદ ખાબકશે, તો સ્થાનિક રહીશોની સ્થિતિ શું થશે, તે ચિંતાનો વિષય બન્યો છે.
