લાખો રૂપિયાનો પગાર લેતા ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના માથે ઝીંક્યો ફી વધારો, NSUIએ કર્યા ઉગ્ર દેખાવો- Video
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ફી વધારા મામલે વિવાદમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા BCom, B.A, BCA, BBA અને PhDના અભ્યાસક્રમોમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કર્યો છે. જેના વિરોધમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. NSUIના કાર્યકરોએ કુલપતિના ઘરનો ઘેરાવ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર કરવાામાં આવેલો હજારો રૂપિયાનો ફી વધારો પરત ન લેતા NSUI દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. એક સપ્તાહ પહેલા પણ NSUI ના કાર્યકરો દ્વારા VCને ફી વધારો પરત લેવા અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. જે બાદ આજે ફરી વિદ્યાર્થીઓના માથે ઝીંકાયેલા ફી વધારાને પરત લેવાની માગ સાથે NSUIના કાર્યકરોએ કુલપતિના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયત્ન કર્યો. અત્યંત ઉગ્ર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા. આ તરફ પોલીસે દેખાવ કરી રહેલા તમામ કાર્યકરોને ટીંગોટોળી કરી બહાર લઈ જઈ અટકાયત કરી હતી.
કેટલો કરાયો છે ફી વધારો?
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં જે જૂજ યુનિવર્સિટીઓ બચી છે તેમા ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે, અહીં આસપાસના ગામો, નગરોમાંથી અનેક ગરીબ- મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. હવે યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરાતા ગરીબ વિદ્યાર્થીઓની સ્થિત અત્યંત કફોડી બની ગઈ છે. કારણ કે નવા સત્રથી BCom, B.Aમાં પ્રતિ સેમેસ્ટર 1750 થી 4500 સુધીનો વધારો, PHDમાં પ્રતિ વર્ષ 9 હજારનો વધારો અને BCAમાં પ્રતિ વર્ષ 4 હજારનો વધારો કરાયો છે.
NSUI દ્વારા જોરશોરથી આ ફી વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે અને માગ કરાઈ છે કે કોઈપણ ભોગે તેઓ આ ફી વધારો પરત ખેંચાવીને જ રહેશે, જો આવુ નહીં થાય તો પ્રદર્શનની આગ વધુ વિકરાળ બનશે. ત્યારે સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ફી વધારો પરત લેવામાં આવશે?
ફી વધારા અંગે કુલપતિએ કર્યો લુલો બચાવ
ગુજરાત યુનિવર્સિટીમાં કરાયેલા ફી વધારા અંગે કુલપતિએ બચાવ કર્યો કે તમામ કોર્સમાં ફી વધારો નથી કરાયો. હવે BBA અને BCA ગુજરાત યુનિવર્સિટીમાં લાગુ પડતુ નથી, એની જગ્યાએ જ BS પ્રોગ્રામ ગત વર્ષથી ચાલુ કર્યો હતો, એક વર્ષ કેવી રીતે ચાલે છે એ અભ્યાસ કર્યા પછી જ ફી વધારો FRC સમક્ષ મુક્યો છે. આ તરફ PHDમાં પણ મિનિમમ વધારો કરવામાં આવ્યો છે
કોઈ યુનિવર્સિટી કઈ પરિસ્થિતિઓમાં ફી વધારો કરી શકે?
- યુનિવર્સિટીના વાર્ષિક બજેટ કે ખર્ચમાં વધારો થયો હોય જેમ કે સંશોધન, પગાર, સુવિધાઓ તો ફી વધારી શકાય. ઉપરાત સરકાર દ્વારા યુનિવર્સિટીને મળતી ગ્રાન્ટ અથવા ફંડમાં ઘટાડો થાય તેવા સંજોગોમાં ફી વધારો જે તે યુનિવર્સિટી કરી શકે છે.
- યુજીસી અથવા તો રાજ્ય સરકાર દ્વારા નવી શૈક્ષણિક નીતિ લાવવામાં આવી હોય, જે અંતર્ગત નવી પદ્ધતિઓ, ટેકનોલોજી અપડેટ અથવા અભ્યાસક્રમ સુધારાણાને કારણે ફી વધારો કરી શકાય છે.
- વિશેષ કોર્સ અથવા સુવિધાઓ માટે ફી વધારો કરી શકે, જેમકે, યુનિવર્સિટી નવી ડિગ્રી કે સ્પેશલાઈઝેશન પ્રોગ્રામ શરૂ કરે તો તેના માટે વધારાની ફી લઈ શકે છે.
- નવી ઈન્ફ્રસ્ટ્રક્ચર સુવિધાઓ જેવી કે લાઈબ્રેરી, હોસ્ટેલ, રિસર્ચ લેબમાં વધારો કરવામાં આવે તો તેની ફી વધારી શકે છે.
- ફી વધારો દરેક શૈક્ષણિક વર્ષ પહેલા અથવા નવી શૈક્ષણિક નીતિ અમલમાં આવે ત્યારે કરી શકાય છે.
હાલ યુનિવર્સિટી દ્વારા કરાયેલા આ ફી વધારાને કારણે ગરીબ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. એકતરફ રાજ્યમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓ બચી છે ત્યારે સરકારી યુનિવર્સિટીઓ પણ જો આ રીતે વિદ્યાર્થીઓના માથે હજારો રૂપિયાનો ફી વધારો ઝીંકશે તો તેઓ સ્નાતક સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકશે કે કેમ તે મોટો સવાલ છે? દર મહિને ત્રણ લાખથી વધુનો પગાર મેળવતા યુનિવર્સિટીના સત્તાધિશોને દર વર્ષે 4 હજાર રૂપિયાનો ફી વધારો કદાચ મામૂલી લાગતો હશે પરંતુ તેમને એ પણ સમજવુ જોઈએ કે આ ફી વધારાને કારણે ગરીબ વર્ગના અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ છૂટી શકે છે.