21 મી જુનને વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે. આજથી બરાબર 9 વર્ષ પહેલા યોગ દિવસની ઉજવણીનો સૌપ્રથમ પ્રસ્તાવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. આજે દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે. PM મોદી શ્રીનગર ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે પીએમ સભાને પણ સંબોધિત કરશે. આ દરમિયાન તે સારા સ્વાસ્થ્ય અને યોગના ફાયદાઓ પર પ્રકાશ પાથરશે. 2015થી પીએમ મોદીએ દેશમાં યોગનું મહત્વ વધાર્યું છે. વર્ષ 2023માં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, ન્યૂયોર્કમાં યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગુજરાતમાં વિધિવત રીતે તો ચોમાસુ બેસી ગયુ છે પરંતુ આ ચોમાસુ હાલ નવસારીમાં જ રોકાઈ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. કેમકે નવસારીમાં ચોમાસુ અઠે કરીને એવું બેસી ગયું છે કે ત્યાંથી આગળ જ નથી વધી રહ્યું.
જોકે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્નારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની વકી છે. આજે અને કાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. એટલે કે 20થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે. આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.
ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઈ છે. તોફાની પવન સાથે વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
વડોદરામાં ઝડપથી ચાલી રહેલી સ્કુલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ પડી ગઈ હોવાનો વીડિયો વાયરલ થઈને લોકોની સામે આવ્યા બાદ તંત્ર એકશનમાં આવ્યું હતું. બેદરકાર સ્કુલ વાન ચાલકની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. સ્કુલ વાન ચાલકની ધરપકડ બાદ, પોલીસે હાથ ધરેલ તપાસમાં વાન ચાલક પાસે પાકું લાયસન્સ ના હોવાનો ખુલાસો થયો છે. 23 વર્ષીય વાન ચાલક પ્રતીક પઢિયારની પુછપરછમાં ખુલાસો થયો હતો કે, વાનના દરવાજાનું લોક બગડેલું હતું એટલે ખુલી ગયો. લોક બદલવા માટે ડ્રાઈવર પ્રતિકે, માલિકને જાણ કરી હતી. વાનના માલિકે બગડેલું લોક ના બદલતા ઘટના બની હોવાનુ સામે આવ્યું છે.
ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોરચુપણા, બોદાના, નેસ, સાતણાનેસ, જડકલા, કંદમગીરી, ભંડારીયા, વડાળ, અયાવેજ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે. જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે.
ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લીમીટેડના તત્કાલિન એક્ઝીકયુટીવ એકાઉન્ટન્ટ, રૂચી ભાવસાર વિરૂધ્ધ ACB એ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. રૂચિ ભાવસાર સામે રૂપિયા 4,07,83,875 ની અપ્રમાણસર મિલ્કતનો ગુનો ACB એ દાખલ કર્યો છે. ગાંધીનગર ACB પોલિસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે. જેમાં અપ્રમાણસર મિલ્કત ધારક તરીકે રૂચિ જૈમિન દિલીપકુમાર ભાવસાર છે. જેઓ ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડના તત્કાલિન એકઝીકયુટીવ એકાઉન્ટન્ટ હતા. રુચિ ભાવસાર નો ફરજ દરમ્યાનનો તા.01/05/2017 થી તા.31/05/2022 ના ચેક પિરીયડ સુનિશ્ચિત કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. રુચિ ભાવસારે કાયદેસરની આવક રૂા.65,31,380/- ની સામે રૂા. 4,73,15,255/-નુ સ્થાવર અને જંગમ મિલ્કતમાં પોતાના તથા આશ્રિતોના નામે રોકાણ તેમજ ખર્ચ કર્યાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે.
કચ્છના જખૌમાં સર્ચ દરમિયાન બીએસએફને ડ્રગ્સના વધુ 27 પેકેટ મળી આવ્યા છે. BSFને મળેલા બિનવારસી ડ્રગ્સમાં સીન્થેટીક ડ્રગ્સ, ટેબલેટ સહિતનો જથ્થો હોવાથી જપ્ત કર્યો છે. છેલ્લા એક સપ્તાહમાં BSF દ્વારા 129 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
મહારાજ ફિલ્મ રિલીઝ સામેને સ્ટે ગુજરાત હાઈકોર્ટે હટાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગીઓ દ્વારા મહારાજ ફિલ્મના રિલીઝને અટકાવવા માટેની અરજી ફગાવી છે. હાઈકોર્ટે ફિલ્મ જોઈ છે તેમા કશું વાંધાજનક કે વિવાદીત જણાયુ ના હોવાનું હાઈકોર્ટે જણાવ્યુ છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, 1862 માં ચુકાદો આવ્યા બાદ 2013 માં પુસ્તક લખાયુંં અને તે સમયે પણ સામાજિક સૌહાર્દ ખોરવાયું હોય તેવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. હાઇકોર્ટના ચુકાદા બાદ અરજદાર દ્વારા સ્ટે મંગાતા હાઇકોર્ટે માંગ ફગાવી છે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદા પર સ્ટે આપવા ઇન્કાર કર્યો છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રચાયેલ SIT એ તેનો અહેવાલ સોપ્યો છે. આ અંગે SIT ના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, મોરબી પુલ દુર્ઘટનાની જેમ રાજકોટના અગ્નિકાંડ કેસમાં પણ જે જવાબદાર હશે તે જેલમાં જશે. 4 IAS. 1 IPS ની પૂછપરછ કરવામાં આવી છે. માર્ચમાં બર્થ ડે પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા. અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે. અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી છે. પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગની નિષ્કાળજી આવી છે. પુરાવા સાથે અમે રિપોર્ટ સોંપ્યો છે. SIT ની તપાસ ચાલુ રહેશે. શક્ય એટલી ઝડપથી તપાસ પૂર્ણ કરીશુ. તમામ અધિકારીઓએ તપાસમાં સહયોગ આપવો પડશે.
અમદાવાદ: કાયમી શિક્ષક ભરતીની માગ સાથે જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે. રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકો વિરોધ નોંધાવી રહ્યા છે. મહેકમ પ્રમાણે ભરતી કરવા જ્ઞાન સહાયકોની માગ છે. ઉમેદવારનું કહેવું છે કે જે જાહેરાત કરવામાં આવી છે તે મહેકમનાં 10 ટકા પણ નથી. રાજ્યમાં 78 હજાર ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. 35 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની માગ છે.
મહારાજ ફિલ્મને લઇ વિવાદ હજી ઉગ્ર બન્યો છે. રાજકોટના જામકંડોરણામાં વૈષ્ણવ સમાજ સહિત હિન્દુ સંગઠનોએ માગ કરી છે કે, મહારાજ ફિલ્મના રીલીઝ પર રોક લગાવવામાં આવે. આ માટે, હિન્દુ સંગઠનોએ મામલતદારને આવેદન પણ આપ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો હાજર રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યા છે, કે મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન થયું છે. જેથી હિન્દુ સમાજની લાગણી દુભાઇ હોવાના આક્ષેપ કર્યા અને જો, ફિલ્મ પર રોક નહીં લાગે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
ભાવનગર: ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. 5 શખ્સોએ છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવી લૂંટનો પ્રયત્ન કર્યો હતો. TI ટ્રેડર્સ નામના ગોડાઉનમાં હરિયાણા પાર્સિંગનું આઇસર લઈને લૂંટારુ આવ્યા હતા. 2 કરોડની લૂંટની ઘટના સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી છે. ફરાર લૂંટારુઓને શોધવા પોલીસે 3 ટીમ બનાવી શોધશોળ શરૂ કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાલ હાઈકોર્ટે તેમના જામીન પર સ્ટે મુક્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ગઈ કાલે એટલે કે ગુરુવારે દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન મંજૂર કર્યા હતા, પરંતુ આજે કેજરીવાલના જામીન સામે ED હાઈકોર્ટ પહોંચી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. હાઈકોર્ટે ઈડીની અરજી સ્વીકારી હતી.
દાહોદ બબર ખાલસા આતંકી મામલે NIAની ટીમે દરોડા પાડ્યા છે. આતંકી ખાલસાનું દાહોદ કનેક્શન નીકળતા NIA ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લખવીદ્રનો સાળો રઘુ નામક ઇસમના ત્યા દરોડા પાડ્યા છે. દાહોદથી નાણાકીય વ્યવહાર થયો હોવાની પણ આશંકા છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે યોગ એ ભારતની આધ્યાત્મિક ક્ષમતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વડાપ્રધાનનું વિઝન યોગને વિશ્વમાં વિશેષ સ્થાન આપવાનું હતું અને દર વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગની ઉજવણી કરવામાં આવે છે.
સુરત:લીંબાયતમાં ચાર્જિંગ દરમ્યાન ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી છે. આગના કારણે એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. પ્રચંડ બ્લાસ્ટ થતા દુકાનની દીવાલ અને કાચ પણ તૂટી ગયા છે. મકાનમાં બીજા માળે ફસાયેલા ચાર વ્યક્તિ દાઝ્યા છે. અગાસી પર ફસાયેલ વ્યક્તિઓને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા.
વડોદરા: સંગમ ચાર રસ્તા નજીક રૂપમ ટોકિઝ પાસે હત્યા થઇ છે. છરીના ઘા મારી સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની નામના યુવકની હત્યા થઇ છે. ગંભીર હાલતમાં યુવકને સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. યુવકની હત્યા કોઇ નજીકના વ્યક્તિએ કરી હોવાની આશંકા છે. CCTVને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં ધોધમાર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે કારણકે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ થવામાં હજુ વાર લાગશે. ચોમાસું હજુ પણ નવસારીમાં અટવાયેલું છે. આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પીએમ મોદીએ યોગ દિવસને લઇને કહ્યું કે મેં 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના તે પ્રસ્તાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો, જે પોતાનામાં એક રેકોર્ડ હતો. ત્યારથી યોગ દિવસ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 2015માં દિલ્હીમાં ફરજના માર્ગ પર 35 હજાર લોકોએ એકસાથે યોગ કર્યા હતા.
We can feel the energy in #Srinagar, that we gain through Yoga : #PMModi in Srinagar on #InternationalYogaDay pic.twitter.com/Mgq2eZdwlT
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2024
શ્રીનગરમાં PM નરેન્દ્ર મોદીએ યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. યોગથી આપણને જે શક્તિ મળે છે, તે હું શ્રીનગરમાં અનુભવી રહ્યો છું. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે.
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે. તેનાથી ઉત્પાદકતા અને સહનશક્તિ વધે છે. યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે. યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે. યોગથી એકાગ્રતા વધે છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે.
પીએમ મોદીએ કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યુ કે કાશ્મીરની ધરતી યોગ સાધનાની ભૂમિ છે. દુનિયાના ઘણા ભાગોમાં યોગ દિનચર્યાનો ભાગ બની રહ્યો છે. સાઉદીમાં તો યોગ એજ્યુકેશનમાં પણ સામેલ છે. વિશ્વમાં યોગ કરનારની સંખ્યા વધી રહી છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મથુરામાં યોગ કર્યા.
#WATCH | Defence Minister Rajnath Singh, Army chief Gen Manoj Pande and others perform Yoga in Mathura, Uttar Pradesh on the occasion of International Day of Yoga. pic.twitter.com/ke7DgB80ld
— ANI (@ANI) June 21, 2024
બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય? આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ, જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
#WATCH लखनऊ (यूपी): यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ और राज्यपाल आनंदी बेन पटेल ने 10वें अंतर्राष्ट्रीय योग दिवस कार्यक्रम में हिस्सा लिया। pic.twitter.com/FVSAWbtxTc
— ANI_HindiNews (@AHindinews) June 21, 2024
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા દિલ્હીના યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સૂરજમલ વિહાર ખાતે યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેમની સાથે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા, ધારાસભ્ય ઓપી શર્મા સહિત ઘણા લોકો યોગ કરશે.
કેન્દ્રીય મંત્રીઓ પણ આજે સવારે દેશના વિવિધ ભાગોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ મથુરામાં અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દિલ્હીમાં યોગ કરશે. પીએમ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. એવું માનવામાં આવે છે કે 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૌથી ટૂંકી રાત્રિ થાય છે.
વિશ્વ યોગ દિવસ પર PM મોદી આજે સવારે 6:40 વાગ્યે શ્રીનગરમાં દેશ અને દુનિયાને સંદેશ આપશે. અહીં લગભગ 20 મિનિટના ભાષણ બાદ પીએમ સામૂહિક યોગ કરશે. PM મોદીનો સમૂહ યોગ સવારે સાત વાગ્યે શરૂ થશે.
Published On - 6:15 am, Fri, 21 June 24