18 નવેમ્બરના મહત્વના સમાચાર : કચ્છના રાપરમાં આવ્યો ભૂકંપનો આંચકો, અનેક વિસ્તારમાં લોકોએ અનુભવ્યો
આજે 18 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વડાપ્રધાન મોદી બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે. જ્યાં જી-20 સંમેલનમાં જળવાયુ પરિવર્તન પર થશે ચર્ચા. દિલ્લી એનસીઆર બન્યું ગેસ ચેમ્બર, AQI 481ને પાર પહોંચ્યો છે. દિલ્લીમાં નિર્માણ કાર્ય પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થશે. પાટણની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા. રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કોલેજની કાર્યવાહી. દાહોદમાં પરિણીતાનું રહસ્યમયી મોત થતાં પિયર પક્ષનો પતિએ હત્યા કરી હોવાનો આરોપ.. તો મહિલાએ આપઘાત કર્યાનો સાસરી પક્ષનો દાવો.. અમદાવાદમાં નકલી લવાદ જજ મોરીસ ક્રિશ્ચિયન પર કસાતો ગાળીયો.. કારંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો.. ખોટા દસ્તાવેજો બનાવી સાચા દસ્તાવેજો તરીકે દર્શાવ્યા.
LIVE NEWS & UPDATES
-
કચ્છના રાપરમાં આવ્યો ભૂકંપનો આંચકો, અનેક વિસ્તારમાં લોકોએ અનુભવ્યો
કચ્છના રાપર વિસ્તારમાં આજે રાત્રે ભુંકપનો મોટો આંચકો અનુભવાયો છે. રાત્રે 08:18 કલાકે આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર 4.0 ની નોંધાઈ છે. રાપરના અનેક વિસ્તારના લોકોએ ભૂકંપના આંચકો અનુભવતા ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનુ કેન્દ્રબિંદુ રાપરથી 26 કિ.મી વેસ્ટ સાઉથ વેસ્ટ દુર નોંધાયું છે. તાજેતરમાં પાટણ કેન્દ્રબિંદુ ધરાવતો 4.2 ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો.
-
પાટણ GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ કરવાના કેસમાં 15 વિદ્યાર્થીની ધરપકડ
GMERS મેડિકલ કોલેજ રેગિંગ કરવાના કેસમાં પોલીસે 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. સિનિયર વિદ્યાર્થીઓએ જુનીયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું હતું જેમાં એક વિદ્યાર્થીનુ મોત થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ, પાટણ પોલીસે રેગિંગમાં સંડોવાયેલા 15 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ તમામ 15 સીનીયર વિદ્યાર્થીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
-
-
ગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ યુએસમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં જોડાયેલ છે તાર
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકામાં ઝડપાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનમોલની કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે. અમેરિકાના અધિકારીઓએ થોડા સમય પહેલા અનમોલ બિશ્નોઈની પોતાના દેશમાં હાજર હોવાની પુષ્ટિ કરી હતી. આ પછી મુંબઈ પોલીસે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
-
ગુજરાતમાં હત્યારા-ગુંડાઓને ગૃહ પ્રધાન કે સરકારનો ડર નથી, પ્રજા રામ ભરોષે છે નેતાઓ મહારાષ્ટ્રમાં છે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા, કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ, ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું છે કે, ગુજરાતની પ્રજાને રામ ભરોષે છોડીને પ્રધાનો મહારાષ્ટ્રમાં પડ્યા પાથર્યા છે. અમદાવાદ શહેરમાં માનવ હત્યા વધી રહી છે. રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો થાય છે. ભાજપ ના કોર્પોરેટર દુષ્કર્મના કેસમાં સપડાય છે. આરોપીઓને ગૃહ પ્રધાન કે સરકારનો ડર નથી રહ્યો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હત્યારા ગુંડાઓ સામે ક્યારે મક્કમ બનશે તેમ પણ અમિત ચાવડાએ જણાવ્યું છે.
-
અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળતા CP એ એલિસબ્રિજ પીઆઈને કર્યા સસ્પેન્ડ
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા આખરે શહેર પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ કમિશ્નર જી એસ મલિકે, એલિસબ્રિજ પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ બી ડી ઝીલરીયાને સસ્પેન્ડ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને એક પ્રકારે સંદેશ આપ્યો છે. એલિસબ્રિજમાં બે દિવસ પૂર્વે થયેલ ફાયરિંગ અને મૃતક વ્યક્તિ ઉપર અગાઉ 14મીનવેમ્બરે કરેલ હુમલામાં પોલીસની ઢીલી કામગીરી બદલ પોલીસ કમિશ્નરે કાર્યવાહી કરી છે. એવુ ચર્ચાઈ રહ્યું છે કે, જો એલિસબ્રિજ પોલીસે 14 તારીખે થયેલા હુમલા અંગે કડક કાર્યવાહી કરી હોત તો મૃતકનો જીવ બચી ગયો હોત.
-
-
સાંસદે સડેલુ અનાજ અધિકારીઓને દેખાડતા ગાંધીનગરથી દોડતુ થયુ તંત્ર
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ, અધિકારીઓને સસ્તા અનાજની દુકાનેથી લોકોને સડેલુ અનાજ આપવામાં આવતુ હોવાનું પુરાવા સાથે દર્શાવતા, ગાંધીનગરથી તંત્ર દોડતુ થયું છે. ગાંધીનગરથી પુરવઠા વિભાગની ટીમે આવીને દરોડા પાડીને અનાજના નમૂના ચકાસણી અર્થે લીધા છે. અધિક નિયામક અને તેની ટીમ દ્રારા રાજકોટના સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીક દુકાનોમાંથી અનાજના નમૂના પણ લેવામાં આવ્યા છે.
-
વિજયનગર ગ્રામ પંચાયતે વેરો ના ભરનારાના નળના જોડાણ કાપવાની કરી શરૂઆત
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. ગ્રામ પંચાયતને 58 લાખથી વધુ ઘરવેરો વસૂલવના મામલે ગ્રામસભામાં રજૂઆત થઈ હતી. ઘરવેરો ના ભરનારા બાકીદારો મામલે તવાઈ શરૂ કરાઈ છે. પ્રથમ દિવસે ગ્રામ પંચાયત દ્વારા 10 નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. છેલ્લા 15 વર્ષથી ઘરવેરો બાકી હોય તેવા સામે કાર્યવાહી કરવાનુ નક્કી કર્યું છે. સરપંચ અને તલાટી સહિત ગ્રામસભાના નિર્ણયથી વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.
-
ભાજપના સાંસદે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કહ્યું- મનરેગામાં નેતાઓ અને અધિકારીઓની છે મિલીભગત
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મનરેગા યોજનામા નેતાઓ અને અધિકારીઓની મિલીભગત અંગે ધ્યાન દોર્યું છે. નર્મદાના સાંસદ મનસુખ વસાવા એ લખ્યું કે, મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માનીતી એજન્સીઓને કામ આપી દે છે. બજાર કરતા ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરે છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આવુ બનતુ અટકાવવા માટે, કોઈ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેને 3 વર્ષનો મનરેગાના કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ તેવી જોગવાઈ રાખવી જોઈએ.
-
RTE હેઠળ પ્રવેશ મેળવવા ખોટા દસ્તાવેજો રજૂ કરનારા 140 ના પ્રવેશ કરાયા રદ
અમદાવાદ શહેર DEO ની હેઠળના 140 પ્રવેશ રદ્દ કરવા સૂચના આપવામાં આવી છ. ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવેલ હોવાનું ધ્યાને આવતા આવા પ્રવેશ રદ કરવા આદેશ આપ્યો છે. RTE ના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ. 140 કિસ્સામાં વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. સરકારની યોજનાનો ગેરલાભ લેવા અંગે પોલીસ ફરિયાદ પણ કરવાની જોગવાઈ છે. ઉદગમ, ઝેબર, કે એન પટેલ, કેલોરેક્સ, જેમ્સ જિનેસિસ (કેમ્બ્રિજ બોર્ડ), આરપી વસાણી સ્કુલમાં ખોટા દસ્તાવેજોથી મેળવેલ પ્રવેશ રદ કરવનો આદેશ કરાયો છે.
-
ઓખાની ફિશીંગ બોટ પર પાકિસ્તાન નેવી દ્વારા ફાયરીંગ
પાકિસ્તાન મરીનની અવળચંડાઈ સામે આવી છે. મોડીરાતે ગુજરાતના દરિયા નજીક ઓખાની ફિશીંગ બોટ પર પાકિસ્તાન નેવી દ્વારા ફાયરીંગ કરાયુ. મધ દરીયે ફાયરીંગની ઘટનાથી બોટની જળ સમાધી થઇ. બનાવને ઓખા બંદરના માછીમારોમાં ભયનો માહોલ છે. કોસ્ટગાર્ડ દ્વારા તમામ માછીમારોને રેસ્ક્યૂ કરી ઓખા લઇ આવવામાં આવ્યા.
-
દિલ્હીમાં આમ આદમીને ફટકો, કૈલાશ ગહેલોત જોડાયા ભાજપમાં
દિલ્હીમાં આમઆદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાયાના કાર્યકર અને ભૂતપૂર્વ મંત્રી કૈલાશ ગહેલોતે હાથમાંથી સાવરણી છોડીને કમળ પકડ્યું છે. તેઓ વિધીવત રીતે આજે ભાજપમાં જોડાઇ ગયા. અણ્ણા હજારેના આંદોલનથી ગહેલોત કેજરીવાલની સાથે જ હતા.પણ હવે તેમણે આમઆદમી પાર્ટી પર આરોપોનો મારો ચલાવ્યો. તેમણે કહ્યું કે કેજરીવાલ વિચારધારાથી ભટકી ગયા છે અને હવે તે આમ નહી પણ ખાસ બની ગયા છે.
-
ભાવનગર: પાલિતાણાના લોકોના આરોગ્ય સામે ખતરો
ભાવનગર: પાલિતાણાના લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. શહેરની સૌથી મોટી ખારો નદીમાં દૂષિત પાણી ભળ્યું છે. ડ્રેનેજનું હજારો લીટર દૂષિત પાણી નદીમાં છોડાયું છે. આસપાસના વિસ્તારના પાણીના તળ ખરાબ થયા. પીવાનું પાણી પણ દૂષિત થયું હોવાની રાવ ઉઠી છે. ખેતીમાં પણ ખારો નદીનું પાણી વપરાતું હોવાથી નુકસાન થઇ રહ્યુ છે.
-
અમદાવાદમાં વધતી ગુનાખોરી પર પોલીસ કમિશનરનો બચાવ
અમદાવાદમાં વધતી ગુનાખોરી પર પોલીસ કમિશનર બચાવ કરતા જોવા મળ્યા છે. આંકડાના સહારે ગુનાખોરી ઓછી હોવાનું કમિશનરનું રટણ. વધતી ગુનાખોરી વચ્ચે સબ સલામત હોવાની કમિશનરે પ્રતિક્રિયા આપી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરી ઓછી હોવાનું જણાવ્યુ. સાથે જ અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં હોવાનું પણ જણાવ્યુ.
-
સાબરમતી એક્સપ્રેસ ફિલ્મ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પોસ્ટ
સાબરમતી એક્સપ્રેસ ફિલ્મ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોસ્ટ કરી છે. ઈકો સિસ્ટમ ગમે તેટલી મજબૂત હોય સત્ય બહાર આવી જ જાય છે. ફિલ્મમાં સત્યને છુપાવનારા તત્વોનો પર્દાફાશ કર્યો છે.
-
સાધુને માર મારવાને લઈને જ્યોર્તિનાથ બાપુની પ્રતિક્રિયા
અમરેલીના ખાંભામાં સાધુને માર મારવાને લઈને જ્યોર્તિનાથ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. અજાણ્યા 2 સાધુએ જટા કાપી સાધુને માર માર્યો હતો. ગિરનારીબાપુ નામના સાધુને માર મારી લૂંટ કરી હતી. બંને સાધુ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી. જ્યોર્તિનાથ બાપુએ આ પ્રકારના કૃત્યોથી સનાતન ધર્મ લજવાઈ રહ્યો હોવાનું નિવેદન આપ્યુ છે.
-
અમદાવાદઃ કાગડાપીઠમાં હત્યાનો ઉગ્ર વિરોધ
અમદાવાદઃ કાગડાપીઠમાં હત્યાનો ઉગ્ર વિરોધ થયો. મૃતકના પરિવારજનોએ રસ્તો બંધ કરી વિરોધ દર્શાવ્યો. ન્યુઝ કલોથ માર્કેટ ચાર રસ્તા પાસે વિરોધ કર્યો. હત્યા કેસમાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
-
નહેરુનગરમાં ફ્રૂટના વેપારીની હત્યામાં 3ની ધરપકડ
અમદાવાદ : નહેરુનગરમાં ફ્રૂટના વેપારીની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. 25 લાખમાં વેપારીની હત્યાની સોપારી આપવામાં આવી હતી. બે શખ્સોએ બદાજી મોદી નામના વેપારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
-
સુરેન્દ્રનગર: ખનીજ વિભાગનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર: ખનીજ વિભાગનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો. ખનીજ કામ કરવા માટે મોટી લાંચ માંગી હોવાનું સામે આવ્યું. લાંચની રકમ લેતી વખતે જ ACBએ ક્લાર્કને રંગેહાથ પકડ્યો છે. ACBએ લાંચિયા ક્લાર્કની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
-
સુરતમાંથી બોગસ તબીબોનું કારસ્તાન સામે આવ્યું
સુરતમાંથી બોગસ તબીબોનું કારસ્તાન સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડોકટરોએ જન સેવા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી. હોસ્પિટલ શરૂ કરનાર તબીબ તરીકે કામ કરનાર બે બોગસ તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
-
પંચમહાલ: જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી DAP ખાતરની ભારે અછત
પંચમહાલ: જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી DAP ખાતરની ભારે અછતથી ખાતર લેવા માટે આવતા ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે. DAP ખાતર ન હોવાથી ખેડૂતોને હાલ NPK નામનું ખાતર અપાઈ રહ્યું છે. હાલ રવિ સીઝનના પાકના વાવેતરનો સમય હોવાથી DAP ખાતરની માગ વધુ છે. રવિ પાકના વાવેતર સમયે જ DAP ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
-
પાટણ: GMERS મેડિકલ કોલેજ રેગિંગ મામલે કાર્યવાહી
પાટણ: GMERS મેડિકલ કોલેજ રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઈ છે. પોલીસે રેગિંગની ઘટના મુદ્દે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. GMERS મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતકના વાલીઓએ રેગિંગ કર્યાનો આરોપ લગાવ્યા હતો.
-
ગીરસોમનાથઃ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો ફરી હોબાળો
ગીરસોમનાથઃ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ફરી હોબાળો કર્યો. જણસીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ ન મળતાં હોવાને લઈ હોબાળો કર્યો. ખેડૂતોના હોબાળાને પગલે આજે ફરી માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ કરવામાં આવી છે. અગાઉ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
-
ભરૂચઃ અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામ
ભરૂચઃ અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. સુરત તરફ જતી લેનમાં વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામ થયો. 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકો ભારે પરેશાન થયા છે.
-
નાઇઝીરિયા બાદ વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝીલ
નાઇઝીરિયા બાદ વડાપ્રધાન મોદી બ્રાઝીલ પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું. જી-20 શિખર સંમલેનમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. સમિટમાં જળવાયુ પરિવર્તથી લઇને અનેક મુદ્દા પર ચર્ચા થશે.
-
ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ખેલાયો ખૂની ખેલ
ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ટ્રેનમાં બેસવા મુદ્દે થઈ મારામારી. ટ્રેન ચાલકે ધક્કા-મુક્કી વચ્ચે ટ્રેન ચલાવતા બાળક પડી જતાં મામલો ગરમાયો. ટ્રેન ચાલકે અમદાવાદના બે સહેલાણીને છરીના ઘા માર્યા. જુહાપુરા ખાતેથી ગાંધીનગર સેકટર 28 બગીચામાં ફરવા આવેલા 16 જેટલા સહેલાણી પૈકી 2 પર હુમલો થયો.
Published On - Nov 18,2024 8:46 AM