08 ઓગસ્ટના મહત્વના સમાચાર : લોકોના માથે મોંઘવારીનો વધુ એક માર, તહેવારો સમયે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2900 અને કપાસિયાના રૂ.2795 થયા
Gujarat Live Updates આજ 08 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

LIVE NEWS & UPDATES
-
ગાંધીનગર: ગલુદણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી સામે કાર્યવાહી
ગાંધીનગરના ગલુદણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી સામે ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ IG, ફૂડ ટીમ, FSL અને સ્થાનિક પોલીસે સંયુક્ત તપાસ કરી ફેક્ટરી ઝડપી પાડી હતી. ફેક્ટરીમાં અલગ-અલગ ત્રણ નામથી ઘીનું પેકિંગ કરવામાં આવતું હતું. જાણીતી બ્રાન્ડની નકલ કરી ડબ્બા અને બોક્સમાં ઘી પેક કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ઘી અને પેકિંગ મટીરિયલ જપ્ત કરાયું છે. ફૂડ વિભાગે ઘીના 11 જેટલા સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે. આ ઉપરાંત નજીકમાં આવેલી તક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ માવો પણ સીઝ કરાયો છે. કુલ 2500 કિલો માવો, અંદાજે 3 લાખ રૂપિયાની કિંમતનો, જપ્ત કરાયો છે.
-
વડોદરા: દશામાની આગમન યાત્રામાં મારામારી
વડોદરામાં દશામાની આગમન યાત્રા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ઠેકરનાથ યુવક મંડળ દ્વારા યોજાયેલી દશામાની આગમન યાત્રામાં કેટલાક લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. યાત્રા દરમિયાન અચાનક મારામારી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભક્તિના પર્વ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે મારામારીના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સમગ્ર ઘટનામાં સામેલ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
-
-
રાજકોટ: એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી 3 પેઢીઓ સામે કાર્યવાહી
રાજકોટ શહેર બાદ હવે જિલ્લા આરોગ્ય વિભાગે એનાલોગ પનીર બનાવતી પેઢીઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે કુલ 12 જેટલી પેઢીઓમાં ચકાસણી કરી હતી, જેમાં 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 8 કિલો એનાલોગ પનીરનો નાશ કરાયો છે. જામકંડોરણાની શ્રી વૃંદાવન ગીર ગૌશાળા, ગોંડલની આઇ ખોડલ ડેરી ફાર્મ અને લાલજી આઇસ્ક્રીમ સહિતની પેઢીઓ સામે કાર્યવાહી કરાઈ છે. રાજકોટમાં પટેલ ગાંઠિયા અને શ્રીજી ફૂડ, જ્યારે લોધિકાની શ્રી રામદેવ ડેરી અને સરધારની શ્રી સોનલકૃપા ડેરીનું પણ લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. અગાઉ ત્રણ પેઢીઓમાંથી 1165 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો.
-
આજે રાજ્યભરમાં TAT-HS ની મુખ્ય પરીક્ષા
રાજ્યભરમાં આજે TAT-HS એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટી-ઉચ્ચતર માધ્યમિકની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના 64 કેન્દ્રો પર 11 હજાર 865 ઉમેદવારો પરીક્ષા આપશે. ધોરણ 11 અને 12માં શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવાય છે. જોકે, પરીક્ષા બાદ સરકારી શિક્ષકોની ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતી હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. સારા માર્ક્સથી પાસ થયા બાદ પણ ભરતી ન થતાં ઉમેદવારો કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરવા મજબૂર બનતા હોવાની રજૂઆત છે. TET-TATની પૂરતા પ્રમાણમાં ભરતી અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ ઉઠી છે. અગાઉ વરસાદના કારણે બે વાર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ આજે સુચારુ રીતે પરીક્ષા યોજાઈ રહી છે.
આજે 08 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Aug 08,2026 10:54 AM
