Happy Birthday Gujarat: સોલંકી યુગના સુવર્ણકાળથી લઈને આધુનિક ગુજરાત મોડેલ સુધી કેટલુ બદલાયુ ગુજરાત?
1 મે, 1960ના રોજ જ્યારે નકશા પર 'ગુજરાત' નામના એક અલગ રાજ્યનો ઉદય થયો, ત્યારે તેની પાછળ વર્ષોનો સંઘર્ષ, લોકજુવાળ અને એક મજબૂત નેતૃત્વ હતું. આ નેતૃત્વ એટલે 'જનતાના ચાચા' તરીકે ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિક. ભારતની આઝાદી પછીના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન એ ભાષાકીય ધોરણે રાજ્યની પુનઃરચના માટેનું સૌથી પ્રભાવશાળી આંદોલન હતું

1 મે 1960 એ માત્ર એક તારીખ નથી, પરંતુ કરોડો ગુજરાતીઓની અસ્મિતા, સંઘર્ષ, સાહસ અને વિજયનો દિવસ છે. આ જ દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાને આધારે ગુજરાત અલગ થયુ હતુ. ભારતની પશ્ચિમ દિશાએ અરબ સાગરના વિશાળ કિનારે આવેલુ આપણુ ગુજરાત આજે વિશ્વફલક પર તેજસ્વી તારાની જેમ ચમકી રહ્યુ છે. ગુજરાતે ગરીબી પણ જોઈ છે અને વિકાસની હરણફાળ પણ જોઈ છે. એ માત્રને માત્ર અહીંના ખમીરવંતી, સાહસિક ગુજરાતીઓના કારણે છે. આજે 1 લી મે એ એ જ ગુજરાત રાજ્યના ભવ્ય ઈતિહાસને, તેની સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ છે.
પાષાણ યુગથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો
અહીં સૌથી વિશાળ દરિયાકિનારો પણ છે અને દુનિયાનું સૌથી મોટુ સફેદ રણ પણ છે. અહીં એશિયાઈ સિંહોનો વસવાટ છે, તો દેશનો પહેલો સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન પણ અહીં જ છે. એટલુ જ નહીં 4000 વર્ષ જૂની હડ્ડપીય સંસ્કૃતિના અવશેષો, શિલ્પો અને હાથવણાટની ચીજવસ્તુઓ સાથે આ રાજ્ય આજે પણ તેના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક પરંપરાના તેના અસલી રંગો સાથે અનોખી છાપ છોડી રહ્યુ છે.
મિડલ ઈસ્ટનું પ્રવેશદ્વાર ગુજરાત
આ એજ ગુજરાત છે જ્યાં સાબરમતી, મહી અને નર્મદા જેવી પવિત્ર નદીઓના તટેથી પાષાણ યુગની વસાહતોના અવશેષો મળી આવ્યા છે. લોથલ જેવા નગરો સૂચવે છે કે ઈસ પૂર્વે 3700ની આસપાસ ગુજરાત સિંધુ ખીણની સભ્યતાનું એક મહત્વનું વ્યાપારી કેન્દ્ર હતુ. જે સાબરમતી સિંધ સાથે જોડાયેલુ હતુ. ભરૂચ લોહયુગ દરમિયાન એક પ્રમુખ બંદર તરીકે જાણીતુ હતુ. વિશાળ સમુદ્ર તટથી ગુજરાત મિડલ ઈસ્ટનું પ્રવેશદ્વાર ગણાતુ હતુ. પ્રાચીન સમયમાં મૌર્ય સામ્રાજ્યનો પ્રભાવ અહીં સ્પષ્ટ દેખાય છે. જ્યાં સમ્રાટ અશોકે જુનાગઢ ના પથ્થરો પર શિલાલેખ કોતરાવીને મૌર્ય સામ્રાજ્યની છાપ છોડી હતી.
સોલંકી યુગનો સુવર્ણકાળ
મધ્યયુગમાં ગુજરાત અનેક શક્તિશાળી રાજવંશોનું સાક્ષી બન્યું. ઈ.સ. 470માં મૈત્રક વંશની સ્થાપના થઈ, જેની રાજધાની વલ્લભીપુર હતી. આ વંશ તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત હતો. 8મી સદીમાં દક્ષિણ ભારતના ચાલુક્ય રાજાઓએ અરબ આક્રમણકારોને હરાવી ગુજરાતનું રક્ષણ કર્યું હતું. ગુજરાતના સુવર્ણકાળ તરીકે ઓળખાતા સોલંકી વંશના શાસનમાં કલા અને વાણિજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો. સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી રાજાઓના શાસનકાળમાં પાટણ ભારતનું સૌથી મોટું અને સમૃદ્ધ શહેર બની ગયું હતું. સોલંકી વંશના પતન પછી વાઘેલા વંશે સત્તા સંભાળી, પરંતુ 1297માં અલાઉદ્દીન ખીલજીના હાથે કર્ણદેવ વાઘેલાની હાર સાથે ગુજરાતમાં હિન્દુ શાસનનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતનો યુગ શરૂ થયો.
મુગલ શાસન અને મરાઠાઓનું આગમન
મુસ્લિમ શાસન દરમિયાન 1411માં અહમદશાહ પ્રથમ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી ગુજરાતનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. મહમૂદ બેગડાના શાસનકાળમાં ગુજરાત સલ્તનત તેની ટોચ પર હતી. ત્યારબાદ મુગલ સમ્રાટ અકબરે ગુજરાત પર વિજય મેળવ્યો, જે મરાઠાઓના ઉદય સુધી જળવાઈ રહ્યો. 17મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર આક્રમણ કરીને મરાઠા શક્તિનો પરચો આપ્યો હતો અને પાછળથી ગાયકવાડોએ વડોદરામાં પોતાનું મજબૂત શાસન સ્થાપ્યું.
19મી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ગુજરાતમાં પગપેસારો કર્યો. જોકે, પોર્ટુગીઝો ગુજરાતના દરિયાકાંઠે ઉતરેલી પહેલી યુરોપિયન શક્તિ હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ગુજરાતે સક્રિય ભૂમિકા ભજવી હતી. ભારતની આઝાદીના ઇતિહાસમાં ગુજરાતનું યોગદાન અદ્વિતીય છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓએ ગુજરાતની ધરતી પરથી જ દેશને આઝાદી અપાવવા માટે અહિંસક લડતનું નેતૃત્વ કર્યું હતું.
મહાગુજરાત આંદોલન
જનઆંદોલનનો મુખ્ય ચહેરો ‘ઈન્દુચાચા’
જનતાના અવિરત સંઘર્ષ સામે અંતે સરકાર નવી અને ગુજરાતની સ્થાપના
આઝાદી પછી ગુજરાત સૌપ્રથમ બોમ્બે સ્ટેટનો ભાગ હતું. પરંતુ અલગ રાજ્યની માંગ સાથે શરૂ થયેલા ‘મહાગુજરાત આંદોલન’નું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું અને અંતે 1 મે 1960ના રોજ ભાષાના આધારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. શરૂઆતમાં અમદાવાદ રાજધાની હતી, પરંતુ 1971માં ગાંધીનગરને આધુનિક રીતે વિકસાવીને નવી રાજધાની બનાવવામાં આવી. આજે ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં તેની પ્રગતિ માટે જાણીતું છે.
આજે વિશ્વના 80 ટકા હીરાનું પ્રોસેસિંગ એકલું ગુજરાત કરે છે. એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીર, કચ્છનું સફેદ રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અજાયબીઓ ગુજરાતની શાનમાં ચાર ચાંદ લગાવે છે. સાયન્સ અને ટેકનોલોજીથી લઈને કલા અને સાહિત્ય સુધી ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.
