ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓના વેક્સિનેશનની મુદત 15 દિવસ વધારવા માટે રજુઆત કરવામાં આવી
અગાઉ પણ મોટી સંખ્યામાં વેપારીઓ વેક્સિનથી વંચિત હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયની મુદતમાં વધારો કરીને તેની મુદત 31 જુલાઈ કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ રહી છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Corona Third Wave) રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાનો એક નિયમ છે કે રાજ્યભરના વેપાર ધંધા ધરાવતા વેપારીઓએ 31 જુલાઈ સુધીમાં વેપાર ધંધા શરૂ રાખવા માટે વેકસીનેશન (Vaccination) સર્ટિફિકેટ સાથે રાખવું તેમજ વેકસીન (Vaccine) લઈ લેવી ફરજીયાત છે. જો વેપારીઓએ 31 જુલાઈ સુધીમાં વેકસિન નહિ લીધી હોય તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણય સામે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અસંમતિ દર્શાવી હતી અને આ નિર્ણયને 15 દિવસ સુધી મોકૂફ રાખવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજુઆત કરવામાં આવી છે. GCCI દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં રજુઆત કરી છે કે, રાજ્ય સરકારનો આ નિર્ણય ત્રીજી લહેરને રોકવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. પરંતુ હાલ ગુજરાતમાં વેક્સિન માટેનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ થતો નથી જેને કારણે વેપારીઓ અને નાનો-મોટો ધંધો ધરાવતા શહેરીજનોને વેક્સિન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં રાજ્યના તમામ વેપારીઓ તેમજ નાના-મોટા ધંધાર્થીઓ વેક્સિન લઈ શકે તેમ નથી. જેને કારણે રાજ્ય સરકારે 31 જુલાઈ સુધી તમામ વેપારીઓને વેક્સિન ફરજીયાત અથવા વેક્સિનેશનનું સર્ટિફિકેટ સાથે રાખવાના નિર્ણય પર વિચાર કરવો જોઈએ અને તેની મુદ્દતમાં વધારો કરવો જોઈએ. જેથી વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
જો આ નિર્ણયનો અમલ 31 જુલાઈથી કરવામાં આવશે તો મોટાભાગના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમનો વેપાર રોજગાર બંધ કરાવવામાં આવશે જેનાથી કોરોનાકાળમાં માંડમાંડ ઉભા થયેલા વેપારીઓને આર્થિક ફટકો પડશે અને મોટું નુકસાની સહન કરવાનો વારો આવશે.
મહત્વનું છે કે અગાઉ પણ મોટી સંખ્યામાં વેપારીઓ વેક્સિનથી વંચિત હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયની મુદતમાં વધારો કરીને તેની મુદત 31 જુલાઈ કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ રહી છે. જેને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફરીથી આ મુદ્દતને 15 દિવસ માટે વધારવા માટે રજુઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Board Class 12 Result : આવતીકાલે ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 કલાકે પરિણામ જાહેર કરાશે
આ પણ વાંચો : GANDHINAGAR : સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, દર્દીને આપેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી