ચૂંટણી જીત્યા પછી નેતાઓ ગાયબ! હજારોની વસતી વચ્ચે બાળકો શિક્ષણ અને પોષણથી વંચિત, શું આને જ કહેવાય ‘વિકાસ’?
શું જનતાનો ઉપયોગ માત્ર વોટ મેળવવા પૂરતો જ છે? આ સવાલ આજે દરેકના મનમાં છે. એક બાજુ સ્માર્ટ સિટી અને ડિજિટલ ઈન્ડિયાની વાતો થાય છે, તો બીજી બાજુ બાળકોને પાયાનું શિક્ષણ અને પોષણ આપતી આંગણવાડીઓ પણ નસીબ નથી.

વિકાસને ગતિ આપવાના આશયથી પાંચ ગામને જોડીને બોડેલી નગરપાલિકાનું નિર્માણ તો કરવામાં આવ્યું પરંતુ હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. વાત એમ છે કે, 18 હજારની વસતી ધરાવતા બોડેલીમાં બાળકો માટે એકપણ આંગણવાડી ઉપલબ્ધ ન હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
18 હજારની વસતી વચ્ચે એકપણ સુવિધા નહીં
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બોડેલી વિસ્તારમાં આંગણવાડી ન હોવાથી બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓથી વંચિત રહેવું પડે છે. મળતી માહિતી મુજબ, હાલમાં જે આંગણવાડી કાર્યરત છે, તે રહેણાંક વિસ્તારથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર હોવાથી વાલીઓ માટે બાળકોને ત્યાં મૂકવા અને લેવા જવું અશક્ય બની રહ્યું છે. બીજી તરફ, ખાનગી બાલવાટિકાઓની મોંઘી ફી વાલીઓને પોસાય તેમ નથી.
નાની દુકાનમાં બાળકોનું ચેકઅપ કરવાની નોબત
આંગણવાડી સુધી બાળકો ન પહોંચતા અંતે આરોગ્ય વિભાગની ટીમે બોડેલી વિસ્તારમાં રૂબરૂ પહોંચવું પડ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોના સ્ક્રીનિંગ માટે કોઈ યોગ્ય સ્થળ ન મળતા, અંતે એક નાની દુકાનમાં જ બાળકોની તપાસ કરવાની નોબત આવી હતી. નોંધનીય છે કે, 178 બાળકોમાંથી માત્ર 87 બાળકોની જ તપાસ થઈ શકી હતી.
જૂની આંગણવાડીની હાલત પણ દયનીય
જૂના બોડેલીમાં એક આંગણવાડી ઉપલબ્ધ છે પરંતુ ત્યાં રમત-ગમતના સાધનોનો અભાવ અને રસ્તાની વિકટ સમસ્યા છે. 178 બાળકોની સંખ્યા સામે ત્યાં માત્ર 3 જ બાળકો હાજર જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ સુવિધાના અભાવે આશાવર્કરોને પણ ઘરે-ઘરે જઈને કામગીરી કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશોની હવે એક જ માંગ છે કે, બોડેલીમાં વહેલી તકે નવી આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
સત્તાધીશો હવે જવાબ આપશે કે નહીં?
નગરપાલિકાનું બિરુદ આપીને વાહવાહી લૂંટનાર સત્તાધીશો હવે એ જવાબ આપે કે, 18 હજારની વસતી વચ્ચે એક આંગણવાડી કેમ નથી? શું સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા’ના મિશનમાં આ વિસ્તારના માસૂમ બાળકોનો સમાવેશ નથી થતો? લોકશાહીમાં માત્ર વોટ મેળવવા પૂરતા જ વાયદા કરવાના કે પછી જનતાને પાયાની સુવિધા આપવાની દાનત પણ રાખવાની? તંત્રની આ ઉદાસીનતા સાબિત કરે છે કે, અહીં વિકાસ માત્ર કાગળ પર છે, જમીન પર તો માત્ર જનતાની હાલાકી જ દેખાઈ રહી છે.