સુરતમાં ટેક્સ્ટાઈલ માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન, પલળેલો માલ 70 થી 80% ખોટ સાથે વેચવા કાઢ્યો- જુઓ Video
સુરતમાં પૂરે વેરેલા વિનાશ બાદ વેપારીઓ નુકસાની ઘટાડવા 70-80% ખોટ ખાઈને માલ વેચી રહ્યા છે. ગ્રાહકો પણ આ સેલનો લાભ લઈ વેપારીઓની મદદે આવ્યા છે. આર્થિક દુર્દશાની આ સ્થિતિમાં વેપારીઓ સરકાર અને દાતાઓ સામે મદદની આશા રાખી રહ્યા છે.

સુરતમાં વરસાદે વેરેલા વિનાશની યાદીમાંથી ટેક્સ્ટાઈલ માર્કેટ પણ બાકાત નથી. ખાડીપૂરના પાણી સમગ્ર માર્કેટમાં ફરી વળ્યા છે જેના કારણે વેપારીઓનો અબજો રૂપિયાનો માલ સામાન પલળી ગયો છે. દરેક વેપારી માટે તેનો માલ જ તેની ખરી મૂડી હોય છે. કરોડોની કિંમતના માલ પર પૂરના કાદવ કિચડવાળા પાણી ફરી વળતા હવે તેની કોઈ જ કિંમત રહી નથી. પાણીના ભાવે પણ કોઈ તેને ખરીદવા તૈયાર ન થાય. એવા સમયે વેપારીઓએ 70 થી 80 જેટલી ખોટ ખાઈને પણ નુકસાની ઓછી કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
વેપારીઓનું કહેવુ છે કે પૂરના પાણી ઘુસવાથી અમને જે નુકસાન ગયુ છે તેની તો કોઈ કાળે ભરપાઈ થઈ શકે તેમ નથી. આ નુકસાનીમાંથી ખબર નથી પાંચ-સાત વર્ષે પણ બેઠા થઈ શકશુ કે નહીં. આવી કફોડી સ્થિતિમાં વરાછાના શ્યામધામ ચોક પાસે આવેલી દુકાનોના વેપારીઓ પાણીના ભાવે પોતાની વસ્તુઓનો સેલ કાઢી નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2000 રૂપિયાની વસ્તુ 200 રૂપિયામાં અને 500 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચવા કાઢી છે. આવા સમયે સુરતીઓ પણ તેમની મદદે આવ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોનો તેમને સહકાર મળી રહ્યો છે. અણધારી આવી ચડેલી આફતે અનેક વેપારીઓના માત્ર માલ સામાન પર નહીં પરંતુ તેમના વર્ષોના આયોજનો પર આજે પાણી ફેરવી દીધુ છે. નજર સામે પોતાના માલને પલળતો, બગડતો જોઈને વેપારીઓને આંખે અંધારા આવી ગયા છે. કાપડોના તાકા પણ પૂરમાં તણાતા જોવા મળ્યા. ત્યારે વેપારીઓ કહે છે એ માત્ર કાપડના તાકા નથી તણાયા, પૂર તેમના સપના પણ તાણી ગયુ છે.
હાલ વેપારીએ સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે કે સરકાર તેમને આ આર્થિક પાયમાલીમાંથી બેઠા થવા માટે મદદનો થોડો ટેકો કરે. ગત વર્ષે જ્યારે આ જ પ્રકારે પૂર આવ્યુ ત્યારે સુરતના કેટલાક સ્થાનિક ઉદ્યોગપતિઓએ મદદનો હાથ લંબાવ્યો હતો, તેમજ ટેક્સ્ટાઈલ માર્કેટ એસોસિએશન પણ તેમની મદદે આવ્યુ હતુ. હવે જોવુ રહ્યુ કે વેપારીઓને કોણ મદદનો હાથ લંબાવે છે.
Input Credit- Baldev Suthar-Surat