ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટે 50 લાખના ખર્ચે પ્રગટેશ્વર મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર , મંદિરની મૂર્તિઓને પુનઃ પ્રતિષ્ઠિત કરાઈ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે તેમના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ સમગ્ર તીર્થને વધુ રમણીય અને સુગમ બનાવી રહ્યું છે.
સોમનાથ નજીક આવેલ ભાલકા તીર્થ કે જ્યાં શ્રીકૃષ્ણના ચરણ ને જરા નામના પારધી દ્વારા મૃગ સમજી તીર મારવામાં આવ્યું ત્યાં સદીઓ જૂનું પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર 5,000 થી વધુ વર્ષ જૂનું હોય તેવું કહેવામાં આવે છે. ત્યારે સમયાંતરે જીર્ણ થયેલ પ્રગટેશ્વર મંદિરનો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા પુનઃઉદ્ધાર કરવામાં આવ્યો છે. પ્રગટેશ્વર મંદિરને પૌરાણિક સ્વરૂપ અને મજબૂતી સાથે અંદાજિત 50 લાખના ખર્ચે પુનઃ નિર્મિત કરવામાં આવ્યું છે.
પૌરાણિક મંદિરમાં રહેલી મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા માટે મંદિરના પ્રાંગણમાં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે મંદિરની મૂર્તિઓને પુનઃ પ્રતિષ્ઠિત કરાઈ હતી. સાથે મંદિર પર કળશ રોપણ અને ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના યજમાન પદે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને તેમના ધર્મપત્ની નીલા લહેરી, તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર પૂજામાં જોડાયા હતા.
આ પણ વાંચો : Photos : ગીર સોમનાથમાં મનો દિવ્યાંગ યુવક-યુવતી બંધાયા લગ્નના તાંતણે, પરિવારે ધામધૂમથી કરાવ્યા લગ્ન
મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠિતા
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે તેમના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ સમગ્ર તીર્થને વધુ રમણીય અને સુગમ બનાવી રહ્યું છે. સાથેજ ધાર્મિક પર્યટન ક્ષેત્રે પ્રભાસ તીર્થને વધુ ને વધુ સુલભ બનાવવા સોમનાથ ટ્રસ્ટ અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ પ્રભાસતીર્થમાં આવેલા ટ્રસ્ટ હસ્તકના મંદિરો કે જે વર્ષોના વાણા વિતવાની સાથે જીર્ણ થયા છે. તેમનું નવીનીકરણ અને પુનઃઉદ્ધાર નું કાર્ય કરી રહ્યું છે.
ભાલકા મંદિર હોય કે પછી સોમનાથ નજીક અહિલ્યેશ્વર મંદિર, ટ્રસ્ટ દ્વારા આ દેવાલયો નો પુનઃઉદ્ધાર કરીને તેમને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને એ જ રીતે ભાલકાતીર્થમાં આવેલ હજારો વર્ષો જુના પ્રગટેશ્વર મંદિરને ભવ્યતા સાથે પુનઃનિર્મિત કરવામાં આવ્યું છે.
ધાંગધ્રાના સ્ટોનનો ઉપયોગ
પ્રગટેશ્વર મંદિરનું અંદાજિત 50 લાખના ખર્ચે પુનઃ નિર્માણ કરાયું છે. જેમાં એક શ્રદ્ધાળુ તરફથી આઠ લાખ અનુદાન અને બાકીનો ખર્ચ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. નવનિર્મિત મંદિર મજબૂત અને સુંદર ધાંગધ્રાના સ્ટોનથી બનાવવામાં આવ્યું છે, સાથે મંદિરનું ગર્ભગૃહ સફેદ આરસથી નિર્માણ કરવામા આવ્યું છે.
ઈનપુટ ક્રેડીટ- યોગેશ જોશી- ગિરસોમનાથ