‘લમ્પી’ના કારણે સિંહપ્રેમીઓ પણ ફફડાટમાં, શું લમ્પીગ્રસ્ત ગાયનો શિકાર કરે તો વનરાજમાં ફેલાશે સંક્રમણ ?
રાજ્યમાં લમ્પી વાયરસનો (Lumpy Virus) હાહાકાર છે ત્યારે ગીરના સિંહોને લઈને પશુપ્રેમીઓમાં ચિંતા છે.ગીરમાં ઘણીવાર સિંહો ગાયનો શિકાર કરે છે, જેને કારણે હાલ ચિંતાના વાદળો ઘેરાયા છે.
રાજ્યમાં લમ્પી વાયરસ (Lumpy Virus) દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે લમ્પી વાયરસના સંક્રમણથી 2 હજારથી વધુ પશુઓના (Cattle) મોત નિપજ્યા છે, ત્યારે ગીરના જંગલોમાં સાવજ પર લમ્પી વાયરસનું જોખમ ન આવે તેને લઈને ચિંતા વધી છે.ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દરરોજ ગાયોના શિકાર કરે છે ત્યારે લમ્પીગ્રસ્ત ગાયનું (Cow) મારણ સિંહ કરે તો લમ્પી વાયરસ સિંહમાં (lion) ફેલાવાની ભીતી છે. જોકે આવા કોઈ રિપોર્ટ સામે આવ્યા નથી કે સિંહમાં લમ્પીનું સંક્રમણ ફેલાય છતાં વન વિભાગે (forest Department) પુરતી તકેદારી હાથ ધરી છે. તેમજ સિંહ પ્રેમીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
લમ્પીના પગલે વન વિભાગ સતર્ક
વન વિભાગ દ્વારા નેસ વિસ્તારમાં રહેતા માલધારીઓના પશુધનમાં આ રોગ ન ફેલાય તે માટે વૅક્સીન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં મોટાભાગના નેસડાઓમાં વસતા પશુઓને વૅક્સીનના (vaccination) ડોઝ આપી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર હોય ત્યાં ગાયોને વેક્સીનની કામગીરી વેટરનરી વિભાગ દ્વારા ચાલુ છે.
જૂનાગઢ જિલ્લાના પશુઓમાં પણ લમ્પીનું સંક્રમણ ન વધે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી છે.તંત્ર દ્વારા 28 જેટલી ટીમ બનાવી કામે લગાવવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 1.80 લાખ રસીના ડોઝ મળ્યા છે જે પૈકી 93 હજાર ડોઝ પશુઓને આપી દેવામાં આવ્યા છે.આમ એકતરફ સિંહ પ્રેમીઓમાં ચિંતા છે તો બીજીબાજુ લમ્પી સામે તંત્ર પણ એક્શનમાં છે.લમ્પી રોગ જિનેટિક ન હોવાથી સિંહમાં સંક્રમણ ફેલાવાની શક્યતા નહિવત હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, ત્યારે વહેલી તકે લમ્પી (Lumpy virus Case) પર કાબૂ મેળવવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે.