બંગલો નં. 26: એવું તો શું છે આ બંગલામાં કે નરેન્દ્ર મોદીએ તેને બનાવી દીધું હતું મુખ્યમંત્રીનું સત્તાવાર આવાસ
સત્તાવાર રીતે જોવા જઈએ તો 1 નંબરનો બંગલો મુખ્યમંત્રીનો હોય છે. પરંતુ CM ભૂપેન્દ્ર પટેલને 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો. ચાલો જાણીએ આના પાછળનું રસપ્રદ કારણ.
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી. નવા મુખ્યમંત્રી સાથે ગુજરાતને નવું મંત્રીમંડળ પણ મળ્યું. નવા મંત્રીઓએ પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો. આ વચ્ચે ગાંધીનગરમાં મંત્રીમંડળના મંત્રીઓને નિવાસ ફાળવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સેક્ટર 20 માં બંગલા આવેલા છે. જે મંત્રીઓને ફાળવવામાં આવે છે. સત્તાવાર રીતે જોવા જઈએ તો 1 નંબરનો બંગલો મુખ્યમંત્રીનો હોય છે. પરંતુ CM ભૂપેન્દ્ર પટેલને 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
જો કે આ સિલસિલો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલ્યો આવે છે. ખરેખરમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દીધું હતું. અને 1 નંબરના બંગલાને સરકારી કચેરીમાં ફેરવી દીધો હતો. આ પહેલાના મુખ્યમંત્રી 1 નંબરના બંગલામાં રહેતા હતા. જોકે આ કરવા પાછળનું કારણ ખુબ રસપ્રદ છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બંગલાને લકી માનવામાં આવે છે. કેની કારણ છે કે એમ માનવામાં આવે છે કે આ બંગલામાં જે રહે તે જરૂર મુખ્યમંત્રી બને છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જ્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 1 નંબરના બંગલામાં રહેતા હતા. અને એ સમયે અમરસિંહ ચૌધરીને 26 નંબરનો બંગલો આપવામાં આવ્યો હતો. બાદમાં બન્યું એવું કે અમરસિંહ પણ મુખ્યમંત્રી બન્યાલ.
ઉપરાંત જ્યારે ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ પણ પહેલા નંબરના બંગલામાં રહેતા હતા. અને ત્યારે 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો હતો છબીલદાસ મહેતાને. ચીમનભાઈ પટેલના અવસાન બાદ છબીલદાસ મહેતા મુખ્યમંત્રી થયા હતા. કેશુભાઇના શાસનમાં પણ આ ઘટના જોવા મળી. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તે 1 નંબરમાં રહેતા હતા અને બંગલા નંબર 26 નંબરમાં સુરેશ મહેતા રહેતા હતા. કેશુભાઈ સામે બળવો થતાં સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા.
આ જોગાનુજોગ આટલે જ નથી અટકતો. બાદમાં જ્યારે શંકરસિંહ વાઘેલાની રાજપા સરકાર હતી. ત્યારે પણ આ વસ્તુ જોવા મળી. આ સમયે 26 નંબરના બંગલામાં દિલિપ પરીખ રહેતા હતા અને બાદમાં તેઓ પણ મુખ્યમંત્રી થયા હતા. નરેન્દ્ર મોદીની સત્તાના સમયે તેમણે આ બંગલાને જ સત્તાવાર રીતે મુખ્યમંત્રીનો બંગલો બનાવી દીધો અને બાદમાં જેટલા મુખ્યમંત્રી આવ્યા સૌ આ બંગલામાં જ રહ્યા છે.
મોદીના વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં આવેલા આનાદીબેન પટેલ, વિજય રૂપાણીએ પણ આ બંગલામાં નિવાસ કર્યો. અને હવે ભૂપેન્દ્ર પટેલ આ બંગલાના સત્તાવાર હક્કદાર બન્યા છે.
આ પણ વાંચો: AHMEDABADમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર PM મોદીને મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ