Gandhinagar: આવતીકાલે મળશે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, ચૂંટણીલક્ષી ચર્ચા કરાશે
મિશન 2022ના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની હાજરીમાં આ બેઠક મળશે. આ એક દિવસીય કારોબારી બેઠકમાં સહપ્રભારી સુધીર ગુપ્તા પણ હાજર રહેશે.
ગાંધીનગર (Gandhinagar) ખાતે આવતીકાલે મળશે પ્રદેશ ભાજપ (BJP) ની કારોબારી બેઠક મળશે. ગયા સપ્તાહમાં ભાજપની ચિંતન શિબિર મળી હતી. આ ચિંતન શિબિરમાં થયેલ મંથન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભા ચૂટણી (Gujarat Assembly Election 2022) માટેના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની હાજરીમાં આ બેઠક મળશે. આ એક દિવસીય કારોબારી બેઠકમાં સહપ્રભારી સુધીર ગુપ્તા પણ હાજર રહેશે.
આ અગાઉ 15-16 મેના રોજ બાવળાના કેન્સવિલેમાં ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવ્યું હતું. બે દિવસીય ચિંતન શિબિરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના સાત મહિનાના કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારના નિર્ણયો અને પ્રજા પર તેની અસર અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત બેરોજગારી, મોંઘવારી, એન્ટી ઈન્કમબન્સી, વિપક્ષની રણનીતિને તોડવા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
બે દિવસની ચિંતન બેઠકમાં ગુજરાતમાં મિશન 182 માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું હતું. ભાજપની ચિંતન શિબિરના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ગુજરાતની SC-ST અનામત બેઠકો જીતવા પર ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ભાજપની બેઠકો વધારવા માટેનો રોડમેપ તૈયાર કરાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ગુજરાતમાં વધુ એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પારલીંક યોજનાથી નારાજ માનવામાં આવે છે, જેમને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે અને નવસારી, ચીખલી કે વલસાડની મુલાકાત લે તેવી શક્યતા છે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધાન મંડળના સભ્યો, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને સંગઠનના મહાસચિવ, ઉપ-પ્રમુખ સહિત ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના 7 મહિનાના કામકાજની સમીક્ષા પણ કરવામાં આવી હતી.