ગુજરાત સરકારના ભરતી વિવાદના મહાયજ્ઞમાં વધુ એક ભરતી હોમાઈ, જાણો શું છે મુખ્ય સેવિકાના ઉમેદવારોનો પ્રશ્ન
સરકારી ભરતીમાં હાલ વિવાદોનો મહાયજ્ઞ ચાલી રહ્યો હોય એમ જણાવી રહ્યું છે. હોમ ક્લાર્ક ભરતી બાદ વધુ એક ભરતી વિવાદમાં આવી છે. જેના પર હવે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
ગુજરાત સરકાર (Gujarat Government) જ્યારે યુવાનોને વીવધ ભરતીઓ દ્વારા સરકારી નોકરી (Government Job) આપવાની વાત કરે છે ત્યારે આજે પાટનગર ગાંધીનગર ખાતે મુખ્ય સેવિકા (Mukhya Sevika) ભરતીના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું. તેમને મુખ્ય મુદ્દો એ હતો કે જ્યારે ભરતીની જાહેરાત નજીક છે ત્યારે 27 ડિસેમ્બરના રોજ જિઆર બાહર પાડી અગાઉથી ચાલતી આવતી શૈક્ષણિક લાયકાતમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
લાયકાતમાં ફેરફાર થતા વિરોધ
મુખ્ય સેવિકાની ભરતી રાજ્યની મહિલા ઉમેદવારો માટે હોય છે. તેમને સ્ટાફ નર્સ, બાળ વિકાસ યોજના હેઠળ વિવિધ ફરજો સોંપવામાં આવે છે. અગાઉની ચાર ભરતીઓમાં લાયકાત ઓન્લી ગ્રેજ્યુએટની માંગવામાં આવતી હતી. 27 ડિસેમ્બરના રોજ પંચાયત વિભાગ દ્વારા મુખ્ય સેવિકાની ભરતી અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં ફક્ત હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ કરેલ મહિલાઓ જ ઉમેદવારી કરી શકશે એમ જણાવવામાં આવ્યું હતું.
અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે ઉમેદવારો
આ પરિપત્ર જાહેર થતાં પરીક્ષાની તૈયારી કરતી લાખો બહેનો દુવિધામાં મુકાઇ. ઉમેદવારોના જણાવ્યા અનુસાર છેલ્લા બે ત્રણ વરસથી મુખ્ય સેવિકાની ભરતી કરાઈ નથી. જેથી ભરતીની આશા સાથે લાખો ઉમેદવાર બહેનો અગાઉની લાયકાતના નિયમો પ્રમાણે વર્ષોથી મહેનત કરી રહી છે. તેવામાં જ એકાએક આ નિયમ બદલાતા તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા હોય તેવું તેમણે જણાવ્યું.
મહિલા ઉમેદવારોનો સાથ આપવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમની માંગણી સરકાર ત્વરિત રીતે નિવારે તેવી રજૂઆત કરી હતી. યુવરાજસિંહએ જણાવ્યું કે સરકાર શૈક્ષણિક લાયકાતમાં વધારો કરી વિદ્યાર્થીઓને સરકારી નોકરીથી વંચિત રાખે છે.
વિરોધ કરવા આવેલ મુખ્યસેવિકાના ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓએ આ મુદ્દે ગાંધીનગર જિલ્લા કલેકટર, ગ્રામ પંચાયત વિભાગને અરજી કરી છે અને આવનારા દિવસોમાં કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાને પણ રજૂઆત કરવાના છે.
સરકારી ભરતીમાં વિવાદનો મહાયજ્ઞ
આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ હેડ ક્લાર્ક પેપર લીકનો મુદ્દો પુરાવા સાથે સરકાર અને મીડિયા સમક્ષ રજુ કર્યો હતો. સરકારે એક તરફ જ્યાં પરીક્ષા રદ્દ કરીને માર્ચ 2022 માં ફરીથી યોજવાનું નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને લાખો પરીક્ષાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળ અને તેના અધ્યક્ષ અસિત વોરા સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યાં છે.
હેડ ક્લાર્ક, બિન સચિવાલય, વન વિભાગની ભરતીના સવાલો વચ્ચે હવે મુખ્ય સેવિકાની ભરતીના પ્રશ્નો પર સરકાર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, રોડ શૉ માં લોકોએ પુષ્પવર્ષા કરી હેતથી આવકાર્યા
આ પણ વાંચો: Surat : વેક્સીન ન લીધી હોય તેવા વાલીઓના બાળકોને શાળામાં પ્રવેશ ન આપવા શાળા સંચાલક મંડળનો નિર્ણય