Gandhinagar: કિસાન સંઘે ખેડૂતોની પડતર માગણીઓને લઇને સરકાર સામે ચઢાવી બાંયો, આવતીકાલથી જિલ્લા સ્તરે કરશે આંદોલન
આવતીકાલે એટલે કે 15 જૂનના રોજ રાજ્યભરમાં કિસાન સંઘ (Kisan Sangh) જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શન (Protest) કરશે. ખેડૂતો તમામ જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપી રજૂઆત કરશે.
ગુજરાતમાં (Gujarat) ખેડૂતોના (Farmers) પ્રશ્નોને લઇને કિસાન સંઘ (Kisan Sangh) લાંબા સમયથી ઉગ્ર બન્યું છે. જેમાં સરકાર વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં કાર્યક્રમ પણ આપ્યા છે. સરકાર સાથે અનેક વખત વાટાઘાટો છતા ઉકેલ ન આવતા હવે પોતાની પડતર માગને લઇ કિસાન સંઘે ફરી સરકાર સામે બાયો ચઢાવી છે. જિલ્લા સ્તરથી વીજળી મુદ્દે સરકાર સામે કિસાન સંઘ આંદોલન કરશે. મીટર પદ્ધતિ સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. આવતીકાલથી રાજ્યભરમાં કિસાન સંઘ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરશે.
શું છે વિરોધના કારણો ?
આવતીકાલે એટલે કે 15 જૂનના રોજ રાજ્યભરમાં કિસાન સંઘ જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતો તમામ જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. આ રજૂઆત બાદ પણ સરકાર માને નહીં ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત નેતાના જણાવ્યા અનુસાર, તેમણે વખતોવખત ઊર્જા મંત્રીને રજૂઆત કરી છે. ટેબલ બેઠક પણ કરી છે. સાથે સાથે મીટર બિલ ખેડૂતોને કેમ મોંઘા પડે છે તેમ પણ સમજાવ્યુ છે. ખેડૂત નેતાએ જણાવ્યુ કે હોર્સ પાવર ટેરિફમાં જે બિલ આવે છે. તે વ્યાજબી બિલ આવે છે. મીટર બિલના કારણે ખેડૂતોને અનેક રૂપિયાનું નુકસાન જતુ હોવાની તેમણે રજૂઆત કરી છે. જેથી કિસાન સંઘ દ્વારા ખેડૂતો માટે મર્યાદિત મીટર બિલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
સરકાર સાથે મળેલી બેઠકો નિષ્ફળ
મહત્વનું છે કે આ પૂર્વે ખેડૂતોને પુરતી વીજળી આપવા મુદ્દે કિસાન સંઘ લાંબા સમયથી આંદોલન કરી રહ્યું હતું જો કે રાજ્ય સરકાર સાથે યોજાયેલી બેઠકમાં સરકાર તરફથી આશ્વાસન મળતા કિસાન સંઘે આંદોલન મોકૂફ રાખ્યું હતું. જેમાં સરકારે કહ્યું હતું કે, જે વિસ્તારમાં ખેડૂતોનો પાક છે ત્યાં તાત્કાલિક ધોરણે 8 કલાક વીજળી આપવામાં આવશે.કચ્છ અને બનાસકાંઠામાં 8 કલાક વીજળી આપવામાં આવશે.સમગ્ર ગુજરાતમાં 8 કલાક વીજળી આપવાની ઉર્જાપ્રધાને બાંહેધરી આપી હતી. તેમજ બેઠકમાં વીજ મીટર મરજિયાત કરવા અંગે પણ થઈ ચર્ચા હતી. જો કે તે પછી ખેડૂતોના હિતમાં નિર્ણય ન લેવાતા હવે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે.
જો કે સાબરકાંઠામાં ભારતીય કિસાન સંઘ દ્વારા હિંમતનગરમાં મામલાતદાર કચેરીએ ખેડૂતોના પ્રશ્નોને લઇને આવેદનપત્ર આપશે. તેમજ વિરોધ પ્રદર્શન પણ કરશે.