Gandhinagar : ડ્રગ્સના દુષણ સામે કડક પગલા લેવા અમિત શાહની ટકોર, ‘કોઈ એક શખ્સને પકડીને પોલીસ સંતોષ ન માને’
‘ડ્રગ્સ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી' પર પશ્ચિમ પ્રાદેશિક બેઠકમાં અમિત શાહે કહ્યું કે, જો સિનિયર અધિકારી સીધી નજર નહીં રાખે તો સફળતા નહિ મળે.
ગાંધીનગરમાં (Gandhinagar) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ડ્રગ્સના દુષણ સામે કડક પગલા લેવા તંત્રને તાકીદ કરી છે. તો કોઈ એક શખ્સને પકડીને પોલીસ અધિકારીઓ સંતોષ ન માને અને મૂળ નેટવર્કને (Drugs Network) પકડે તે માટે ટકોર કરી છે. વધુમાં કહ્યું કે, આરોપી સામે ચાર્જશીટ કરીને ઇન્વેસ્ટિગેશન શરૂ રાખે તો નેટવર્ક ઝડપાશે, સિનિયર અધિકારીઓએ તપાસમાં ભાગ લેવો પડશે. જો સિનિયર અધિકારી સીધી નજર નહીં રાખે તો સફળતા નહિ મળે. આંતર રાજ્ય નેટવર્કમાં કોઈપણ રાજ્યની પોલીસ NCBની (Narcotics Control Bureau) મદદ લઈ શકે છે. અને NCBનો વ્યાપ વધારવા માટે રાયપુર અને જયપુર માં NCB ઝોનલ કાર્યાલય શરૂ કરાયું છે.
અત્યાર સુધીમાં 1.5 લાખ કિલોથી વધુના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો
સાથે જ અમિત શાહે ડ્રગ્સ મુદ્દે કહ્યુ કે, “ડ્રગ્સ ઉઘઈની જેમ આપણા દેશની યુવા પેઢીને ખતમ કરી રહ્યો છે, નાર્કોટિક્સના વ્યાપારથી આતંકીઓને પોષણ મળી રહ્યું છે. એવામાં ડ્રગ્સની (Drugs) જાળથી દેશને બચાવવાની જવાબદારી સૌની બને છે..” મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ‘ડ્રગ્સ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પશ્ચિમ પ્રાદેશિક બેઠક યોજાઈ હતી. જેમાં ડ્રગ્સની સ્થિતિ અને તેને કાબુમાં લાવવા પર ચર્ચા કરાઈ હતી. સાથે જ વર્ચ્યુલી દિલ્લી (Delhi) અને અંકલેશ્વરમાં ડ્રગ્સના જપ્ત કરાયેલા 1500 કરોડથી વધારેના પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1.5 લાખ કિલોથી વધુના ડ્રગ્સના જથ્થનો નાશ કરાયો છે.