કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં ડ્રગ ટ્રાફિકિંગ પર બેઠકને સંબોધશે, રુ. 632.68 કરોડના ડ્રગ્સનો તેમની હાજરીમાં કરાશે નાશ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આજે સાંજે 5 વાગ્યે ગાંધીનગરમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક બેઠકને સંબોધશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મહાનુભાવો પણ જોડાશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીકમાં છે ત્યારે કેન્દ્રીય મહાનુભાવો એક પછી એક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) પણ વિધાનસભા ચૂંટણી અને દિવાળીના તહેવારોના પગલે હાલમાં ગુજરાતમાં છે. તેઓ ભાજપ (BJP) પરિવાર સાથે દિવાળીનો પર્વ મનાવવાના હોવાની માહિતી છે. જો કે આજે ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં એક મહત્વની બેઠકને સંબોધવાના છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં તેઓ ડ્રગ ટ્રાફિકિંગને લઇને વાત કરવાના છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો (drugs) કારોબાર ઝડપાયો છે. ત્યારે આ અંગે પણ અમિત શાહ ચર્ચા કરે તેવી માહિતી છે.
રુ. 632.68 કરોડના ડ્રગ્સનો કરાશે નાશ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સાંજે 5 વાગ્યે ગાંધીનગરમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક બેઠકને સંબોધશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મહાનુભાવો પણ જોડાશે. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ-દમણના મુખ્યમંત્રી/પ્રશાસક પણ બેઠકમાં હાજરી આપશે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં રુ. 632.68 કરોડની કિંમતની કુલ 12,438.96 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવશે.
અગાઉ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો
આ પહેલા 30 જુલાઇ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ચંદીગઢમાં (Chandigarh) નશીલી દવાઓની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન NCBએ (Narcotics Control Bureau) અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ કોન્ફરન્સમાં શાહે કહ્યું, ‘ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. તે આપણા સમાજ અને દેશની જડો માટે ઉધઈની જેમ કામ કરે છે.
તે સમયે અમિત શાહે કહ્યું હતુ કે, ‘ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. 2014 થી ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. માદક પદાર્થ માનવીની સાથે સાથે સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર પણ ખરાબ અસર કરે છે. શાહે કહ્યું, નશીલા પદાર્થોની દાણચોરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને નશીલા પદાર્થોની દાણચોરી પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવી જોઈએ. આપણે નશીલા પદાર્થોની દાણચોરી પર લગામ લગાવીને આજની યુવા પેઢીને બચાવવાની છે.