Govt Scheme : તમે ખેડૂત છો ? તમારો પાક નિષ્ફળ નિવડ્યો છે ? તો સરકારની આ યોજનાનો લાભ લઈને મેળવી શકો છો વળતર
આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ કરવાના ભાગરૂપે વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જેને ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના પણ કહેવાય છે. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવી શકો.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો હેતુ
કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકસાન સામે ખેડૂતોને આર્થિક વળતર આપવાનો હેતુ છે. સાથોસાથ ખેડૂતની આવક સ્થિર કરવાનો પણ ઉદ્દેશ છે. ખેડૂત ખેતીક્ષેત્રે નવા અને આધુનિક કૃષિ ટેકનિકનો ઉપયોગ કરતા થાય અને કૃષિ ક્ષેત્રે ધિરાણનો પ્રવાહ જળવાયેલો રહે તે મુખ્ય હેતુ છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મટે કોણ પાત્ર છે
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે બધા જ ખેડૂતો પાત્ર છે. ભાગિયા-ભાગીદાર અને ગણોત ખેડૂતો કે જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટાફાઈડ પાક પકવતા હોય તેઓને આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ આવરી લેવાયેલા છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મળતી સહાય
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવે છે. જ્યારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાક માટે 2 % (બે ટકા), રવિ અને ઉનાળુ પાક માટે 1.5 % ( દોઢ ટકો) અને વાર્ષિક વાણિજ્યક અને બાગાયતી પાક માટે 5 (પાંચ ટકા) પ્રિમિયમ ભરવાનું રહે છે.
જ્યારે વાસ્તવિક પ્રમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતા પ્રમિયમના તફાવતની રકમ પ્રમિયમ સબસિડી તરીકે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સરખે ભાગે ચૂકવવાની રહે છે. આ યોજના અંતર્ગત મુખ્ય પાકના અમલ માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાક માટે તાલુકા વીમા યુનિટ રહે છે.
કેવી રીતે કરશો અરજી
યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડૂતો નિયત સમયમર્યાદામાં I Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીની પ્રિન્ટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા કે બેંકમાં રજૂ કરીને પ્રિમિયમની રકમ આપવાની રહે છે. નોડલ બેંક ખેડૂતોના ખાતામાં પાક વીમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડૂતો નાણાકીય સંસ્થા કે બેંકના સહયોગથી ઓનલાઈન અરજી પણ કરી શકે છે. જેના માટે લિંક છે. https://ikhedut.gujarat.gov.in/
અમલીકરણ કરતી સંસ્થા કે કચેરી અને તેના સંપર્ક અધિકારી કોણ
રાજ્યકક્ષાની પાક વીમાની સંકલન સમિતી SLCCCL ( સ્ટેટ લેવલ કો ઓર્ડીનેશન કમિટી ઓફ ક્રોપ ઈન્સ્યોરન્સ) દ્વારા કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચના મુજબ જે તે ઋતુની શરૂઆતમાં ટેન્ડર કે બીડ કરીને અમલીકર્તા સંસ્થાઓ નક્કી કરવામાં આવે છે.
આવી જ બીજી સરકારી યોજના વિગતે જાણવા માટે આપ https://tv9gujarati.com ની વેબસાઈટ ઉપર જોતા રહો.