ગુજરાત સરકાર હવે માત્ર 5 રુપિયામાં શ્રમિકોને આપશે ભોજન, હોમ ડિલિવરીની સુવિધા પણ મળશે
શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) હેઠળ ગુજરાત સરકાર મજૂરો અને તેમના પરિવારોને 5 રૂપિયામાં ભોજન આપશે. આ ફૂડ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) ખોલવામાં આવશે.
ગુજરાત સરકાર (Gujarat Govt) 8 ઓક્ટોબર એટલે કે આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) શ્રમિક અન્નપૂર્ણા યોજનાની (Annapurna Yojana) શરૂઆત કરશે. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભર પેટ ભોજન આપશે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારજનોને 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ કેન્દ્રો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. આગામી સમયમાં રાજ્યભરમાં આ ફૂડ સેન્ટરો ખોલવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં 50થી વધુ શ્રમિક એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે. જો કે, સરકાર હોમ ડિલિવરી કેવી રીતે કરશે, તે હજુ સ્પષ્ટ નથી.
વિજય રૂપાણીએ યોજનાનો પ્રારંભ કર્યો હતો
સરકારનો ઉદ્દેશ્ય છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે, આ પહેલ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માત્ર મજૂર વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં ભોજનની યોજના શરૂ કરી હતી. જેમાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટિક આહાર આપવાનું આયોજન હતુ. ભાજપ સરકારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કાઉન્ટર શરૂ કર્યું હતું. જેમાં શ્રમિકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું. શ્રમિકોને આ યોજના હેઠળ રોજ ભોજનમાં અલગ-અલગ વસ્તુઓ મળતી હતી.
માત્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાં આવી યોજના જાહેર કરાઇ છે. તમિલનાડુમાં અમ્માનું રસોડું ખૂબ જ લોકપ્રિય છે. અહીં પણ લોકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળે છે. તો સામાજિક કાર્યકર અનૂપ ખન્ના દિલ્હીમાં દાદીના રસોડામાં એક સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ દિલ્હી-એનસીઆરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન મળે છે.
મતદારોને રીઝવવા રાજકીય પક્ષોનો ધમધમાટ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, સરકારી શાળાઓમાં મફત શિક્ષણ, બેરોજગારી ભથ્થું, મહિલાઓને રૂ. 1,000 ભથ્થું અને નવા વકીલોને માસિક વેતન જેવી અનેક રાહતોના આશ્વાસન સાથે તેમના પક્ષના અભિયાનની શરૂઆત કરી હતી. કોંગ્રેસ પણ મતદારોને રીઝવવા મોટા મોટા વચનો આપી રહી છે. તેમણે 500 રૂપિયામાં એલપીજી (રસોડું ગેસ) સિલિન્ડર આપવા, કોવિડ-19ના પીડિતોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર અને ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનું પણ વચન આપ્યું છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.