Govt Scheme : ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો લાભ કેવી રીતે મેળવશો
સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.
![Govt Scheme : ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો લાભ કેવી રીતે મેળવશો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/khedut-akashmat-vima-yojna.jpeg?w=1280)
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો લાભ મેળવી શકો છો.
યોજનાનો હેતુ અને ઉદ્દેશ
સરકાર દ્વારા રજૂ કરાયેલ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો હેતુ ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન પછી તે પુત્ર હોય કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતની પત્ની કે પતિનુ અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે.
યોજના માટે કોણ પાત્ર છે
વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનારા બધા જ ખેડૂત ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના સંતાનો, તેમજ ખાતેદાર ખેડૂત કે જેમના અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં તેમની ઉમર 5 થી લઈને 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.
યોજના હેઠળ મળતી સહાય
અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ, અકસ્માતને કારણે બે આંખ, હાથ- પગ અને એક અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ (આંખના કિસ્સામાં 100 ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ધૂંટણ ઉપરથી અપંગતા). અકસ્માતને કારણે એક આંખ કે એક અંગ (હાથ-પગ) ગુમાવવાના કિસ્સામાં 50 ટકા લેખે રૂપિયા એક લાખની સહાય.
અમલીકરણ કરતી કચેરી-અધિકારી
અકસ્માતે મૃત્યુના થવાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં પુરાવા સાથે અરજી કરવાની રહે છે. અરજી મૃત્યુના કિસ્સામાં 150 દિવસની અંદર સંબધિત જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લા પંચાયતમાં કરવાની રહે છે.
અરજી સમયે રજૂ કરવાના પુરાવા
- અકસ્માતે મૃત્યુ થવાના કે કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટે 7-13ના ઉતારાની નકલ.
- 8-અ ની નકલ
- ગામના નમુના નંબર-6 (હક્ક પત્રક) મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામ્યા હોય તે તારીખ પછીના પ્રમાણિત ઉતારા) પોસ્ટમોર્ટમ રીપોર્ટ
- એફઆઈઆરની કોપી.
- પંચનામાનો રીપોર્ટ.
- પોલીસ ઈન્કવેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હુકમ
- મરણ પ્રમાણપત્ર,
- ઉમરનો પુરાવો અરજી સાથે રજૂ કરવાનો રહે છે.કાયમી અપંગતાના કિસ્સામાં મેડીકલ બોર્ડ કે સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતુ પ્રમાણપત્ર અને અપંગતા દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો.