Gandhinagar : વ્યાજખોરો સામેની મેગા ડ્રાઇવ સફળ, કુલ 1,481 આરોપી સામે ગુના દાખલ, 1039 આરોપીની ધરપકડ
પોલીસ તંત્ર દ્વારા તારીખ 05 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરીને 1,481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી કુલ 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા તેમજ નિર્દોષ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે તે અંતર્ગત રાજયની પોલીસે કુલ 847 FIR દાખલ કરી છે અને કુલ 1481 આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે તેમજ 1039 આરોપીઓની ધરપકડ કરી છે. માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 2389 લોક દરબાર યોજવામાં આવ્ય હતા અને તેમાં કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા.
રાજયમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટું વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
તારીખ 05 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન 1039 આરોપીઓની ધરપકડ
પોલીસ તંત્ર દ્વારા તારીખ 05 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરી 1481આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી કુલ 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2389 લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ 14,619 પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ-રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લોન-ધિરાણ અપાવવામાં મદદ કરશે પોલીસ
વ્યાજખોરો વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, રાજયમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઇ છે અને રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ પોલીસ કમિશ્નર તથા પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરુરિયાતમંદ સામાન્ય નાગરિકોને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેન્કો-સહકારી બેન્કોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જીલ્લાના મુખ્યમથક ખાતે અનુકૂળ જગ્યાએ જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.