Lothal માં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું નિર્માણ કાર્ય પુરજોશમાં, સમીક્ષા માટે બેઠક યોજાઇ
સીએમએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના નિર્માણને વધુ ગતિ આપવા તેમજ લોથલ સહિતના આસપાસના વિસ્તારોના આર્થિક, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન વિકાસ અને રોજગાર નિર્માણ માટે લોથલ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે.
Gandhinagar: ગુજરાતમાં આવેલા ભારતના પુરાતન બંદર લોથલના(Lothal)સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું (National Meritime Heritage Complex) નિર્માણ થઈ રહ્યું છે.અંદાજે રૂપિયા 4500 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ કોમ્પ્લેક્સ માં ભારત સરકાર અને ગુજરાતના સરકારના સહયોગથી થઈ રહેલી પ્રોજેક્ટ્ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
એક્સ્ટર્નલ ઇન્ફ્રાટ્રકચરના વિકાસ માટે રૂપિયા 147 કરોડ ફાળવ્યા છે
જેમાં સીએમએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના નિર્માણને વધુ ગતિ આપવા તેમજ લોથલ સહિતના આસપાસના વિસ્તારોના આર્થિક, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન વિકાસ અને રોજગાર નિર્માણ માટે લોથલ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 375 એકર જમીન ફાળવેલી છે.રાજ્ય સરકારે કોમ્પ્લેક્ષ બહાર-એક્સ્ટર્નલ ઇન્ફ્રાટ્રકચરના વિકાસ માટે રૂપિયા 147 કરોડ ફાળવ્યા છે.
આ રકમમાંથી રોડ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રીસિટી વગેરેના કામો પ્રગતિમાં છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એ વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ અને ભારતની ભવ્ય સમુદ્ર વિરાસતને વિશ્વ સમક્ષ આધુનિક સ્વરુપે પ્રસ્તુત કરવાના આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ માટે ગુજરાત સરકારની મળી રહેલી મદદની પ્રશંસા કરી હતી.
નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની અત્યાર સુધીની પ્રગતિ, નિર્માણાધિન બાબતો તેમ જ કેન્દ્ર રાજ્યના વધુ સંકલન અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠક દરમિયાન ભારત સરકારના ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપ.વે કોર્પોરેશન તેમજ ઇન્ડિયન નેવી વચ્ચે આ કોમ્પલેક્ષમા નેવી ગેલેરીના નિર્માણમા સહયોગ અંગેના એમ.ઓ.યુ પણ કરવામાં આવ્યા હતા.
મુખ્ય સચિવ રાજકુમાર, ભારત સરકારના સચિવ રામચંદ્રન, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન , સલાહકાર એસ એસ રાઠોર તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો , નેવીના વાઇસ એડમિરલ અને અધિકારીઓ બેઠકની ચર્ચા માં જોડાયા હતા.
જેમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સર્વાનંદ સોનેવાલ, ડો. મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક અને શાંતનુ ઠાકુર તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો તથા ઈન્ડીયન નેવી સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.