ગુજરાત સરકારના કાયદા વિભાગનો મહત્વનો નિર્ણય, કૌટુબિંક વિવાદો ઉકેલવા સમિતિની રચના કરાશે: રાજેન્દ્ર ત્રિવેદી
Law Department: ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા કૌટુંબિક વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા કાયદા વિભાગ દ્વારા કૌટુંબિક વિવાદો ઉકેલવા માટે એક સમિતિની રચના કરાશે.
ગુજરાત સરકારના કાયદા વિભાગે (Law Department) મહત્વનો નિર્ણય કર્યો છે. જેમા કૌટુંબિક વિવાદો ઉકેલવા સમિતિની રચના કરાશે. કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી કરવામાં આવી છે. રાજ્યમાં જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિની રચના કરવામાં આવશે. ફેમિલી ફર્સ્ટ, સમજાવટનું સરનામુના સિદ્ધાંત પર આ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી(Rajendra Trivedi)એ જણાવ્યુ કે કૌટુંબિક વિવાદો (Family Disputes) ઉકેલવા સમિતિની રચના કરવામાં આવશે. જેમા કૌટુબિંક વિવાદનો ઉકેલ લાવવા સમિતિ જરૂરી પગલા પણ લેશે. કાયદામંત્રીએ જણાવ્યુ કે કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. કામગીરી નિભાવતા પક્ષકારોની પારિવારીક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન મર્યાદા જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
કુટુંબો તૂટતા બચાવવા લેવાયો નિર્ણય
આ અંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે સમાજ વિખેરાઈ ન જાય, કુટુંબને પડતી મુશ્કેલીઓ કોર્ટ સુધી પહોંચે એ પહેલા જ તેનો નિકાલ થઈ જાય તે માટે આ સમિતિની રચના કરાશે. જેમા પોલીસ પણ સહભાગી બનશે, પોલીસ તેમની સમક્ષ આવતી આવી નાની-મોટી કૌટુંબિક તકરારોને કમિટી સમક્ષ મોકલી આપશે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે રાજ્યમાં લોક કલ્યાણને ઉત્તેજન આપવા તથા સામાજીક દૃષ્ટિએ ન્યાય ઉપલબ્ધ થઇ શકે તેવી અસરકારક સામાજીક વ્યવસ્થાનું સર્જન કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ સમિતિના માળખા સંદર્ભે જણાવતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, સ્થાનિક કક્ષાએ આ યોજનાના સુગમ અમલીકરણ હેતુસર સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે. જિલ્લા કક્ષાએ હોદાની રૂએ જિલ્લા કલેકટર કે જિલ્લા ક્લેકટર દ્વારા રીસીડન્સીયલ એડીશનલ ક્લેકટર અને તાલુકા કક્ષાએ હોદ્દાની રૂએ મામલતદાર આ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજીક દૃષ્ટિએ પ્રતિષ્ઠતા અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો, સ્થાનિક કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધીનો તથા કાયદાના જાણકાર વ્યક્તિનો સમાવેશ કરાશે. જેમાં ઓછામાં ઓછા બે અધિવક્તા સભ્ય હશે તેમજ સમિતિમાં શક્ય હોય ત્યાં સુધી એક મહિલા સભ્યની પણ નિમણૂંક કરાશે. વધુમાં, બે આમંત્રિત સભ્ય તરીકે ચૂટાંયેલા પ્રતિનિધિ બોલાવી શકાશે.
આ કમિટી સમક્ષ જે પક્ષકારો અને લાભાર્થીઓ આવશે તેમની બેઠક વ્યવસ્થા માટે અલગ રૂમની વ્યવસ્થા કલેક્ટર અથવા તો મામલતદાર કરશે. જેમા પક્ષકારો વચ્ચે બેઠક કરાવી તેમના વિવાદનો ઉકેલ લવાશે. આ સમિતિની રચના અંગેના હુકમો રાજ્ય સરકાર બહાર પાડશે. આ સમિતિની રચના પાછળનો એકમાત્ર હેતુ કૌટુબિંક વિવાદોનુ નિવારણ લાવવાનો છે. જેના માટે સરકાર સમાજના દ્વારે જઈ રહી છે. આ સમિતિ મારફતે કુટુંબને લગતા કોઈપણ સામાજિક પ્રશ્નોની બાબતમાં મદદરૂપ થશે.