અમદાવાદમાં ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગોમાં વધારો, આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ થઈ તેજ
અમદાવાદમાં ટાઈફોઈડ અને અન્ય પાણીજન્ય રોગોના વધતા કેસોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેવાનો અને સાચી માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો છે.
અમદાવાદ શહેરમાં ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળા જેવા પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ખાડિયા, જમાલપુર, સરસપુર, દાણીલીમડા, વટવા અને ગોમતીપુર સહિતની અનેક ચાલીઓમાં લોકોને ગંદું પાણી મળી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં પાણી સંબંધિત 3.17 લાખથી વધુ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે ઈન્દોર જેવી “જળકાંડ”ની આશંકા વ્યક્ત કરી છે અને અમદાવાદને “સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી” ગણાવ્યું છે. બીજી તરફ, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પાઈપલાઈન બદલવાની અને નિયમિત પાણીના નમૂના ચકાસવાની કાર્યવાહી ચાલતી હોવાનું જણાવ્યું છે. ગત મહિનામાં શહેરના 10 વોર્ડના 26 વિસ્તારોને હાઈ રિસ્ક જાહેર કરવામાં આવ્યા હતા.
Published on: Jan 06, 2026 06:21 PM
