સૌથી મોટી બેન્ક છેતરપિંડી યુપીમાં ગાજી, કરોડોની લોન લઈને ભાગી જનારા કૌભાંડીઓનું ગુજરાત કનેક્શન હોય છેઃ અખિલેશ યાદવ
અખિલેશે કહ્યું કે જ્યારે સામાન્ય માણસ લોન માટે બેંકનો સંપર્ક કરે છે ત્યારે તેઓ પાસેથી સિક્યોરિટી માગવામાં આવે છે પણ આ ઉદ્યોગપતિઓ કોઈ સિક્યોરિટીઝ રાખ્યા વિના કરોડો રૂપિયાની લોન કેવી રીતે મેળવે છે તે સવાલ છે.
ગુજરાતની ABG શિપયાર્ડ દ્વારા રૂ. 22 હજાર કરોડથી વધુની બેંક છેતરપિંડી અંગે યુપીમાં સત્તાધારી ભાજપ પર પ્રહાર કરતા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રવિવારે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ કૌભાંડી બેંકો સાથે છેતરપિંડી કરીને દેશમાંથી ભાગી જાય છે, ત્યારે તેનું ગુજરાત સાથેનું કનેક્શન સપાટી પર આવે છે.
હાથરસમાં એક જાહેર સભાને સંબોધતા અખિલેશે ભાજપ પર આડકતરા પ્રહારો કરતાં કહ્યું કે દરેકે સવારના અખબારો વાંચ્યા હશે કે કેવી રીતે ગુજરાતના એક ઉદ્યોગપતિએ 28 બેંકો સાથે 22,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. લોકોના મહેનતથી કમાયેલા નાણાં બેંકોમાં રાખવામાં આવ્યા હતા તે આ કૌભાંડી ઉઠાવી ગયા છે.
તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ વેપારી બેંકોને છેતરીને ભાગી ગયો હોય. જ્યારે પણ કોઈ બેંકોમાંથી લોન લઈને છેતરપિંડી કરાઈ છે ત્યારે તે ક્યાંના હોય છે?
અખિલેશે આગળ વાત કરી કે જ્યારે સામાન્ય માણસ લોન માટે બેંકનો સંપર્ક કરે છે ત્યારે તેઓ પાસેથી સિક્યોરિટી ફરજિયાત લેવામાં આવે છે પણ આ ઉદ્યોગપતિઓ કોઈ સિક્યોરિટીઝ રાખ્યા વિના કરોડો રૂપિયાની લોન જેવી મોટી રકમ કેવી રીતે મેળવે છે તે સવાલ છે.
તેમણે કહ્યું કે જ્યારે આપણે બેંકો પાસેથી લોન લેવા જઈએ છીએ, ત્યારે આપણી જમીન અને મકાનો ગીરવે મુકાવવામાં આવે છે અને પછી ઘણી મુશ્કેલી પછી આપણે લોન મેળવી શકીએ છીએ. પરંતુ આ ઉદ્યોગપતિઓ કોઈપણ જાતની જામીનગીરી વગર બેંકો પાસેથી એટલી સરળતાથી લોન મેળવી લે છે.
આવી લોન મળ્યા બાદ ઉદ્યોગપતિએ એક જ કામ કરે છે ફ્લાઈટ પકડો અને દેશ છોડી દો. જો માત્ર એક જ ઉદ્યોગપતિએ રૂ. 22000 કરોડથી વધુની ઉચાપત કરી હોય, તો કોઈ કલ્પના કરી શકે છે કે આ બિઝનેસ હાઉસોએ અત્યાર સુધી કેટલી રકમની બેંકો સાથે છેતરપિંડી કરી હશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં ગુરુવારથી શરૂ થશે આંગણવાડી અને પ્રિ સ્કૂલો, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત