રાજકોટમાં નશાની હાલતમાં બેફામ કાર ચલાવનારે એક નિર્દોષ બાઇક ચાલકનો ભોગ લીધો છે. રામાપીર ચોક ઓવરબ્રિજ પાસે બેફામ કારચાલકે એક બાઇકચાલકને ટક્કર લગાવી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક ચાલકનું બાઇક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું હતુ. કારમાં સવાર બે શખ્શોને પોલીસે ઝડપી લીધા છે.
રાજકોટમાં વહેલી સવારે રામાપીર ચોક ઓવરબ્રિજ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં બેફામ કારચાલકે બાઇક ચાલકને ટક્કર લગાવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું બાઇક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું હતુ. બાઇકને ટક્કર લાગ્યા બાદ કાર બ્રિજ ઉતરી ગઇ હતી અને ડિવાઇડર સાથે અથડાઇ હતી.
અકસ્માતની ઘટનાની જાણ થતા જ DCP સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે પછી કારચાલક બે શખ્સોને નશાની હાલતમાં પોલીસે પકડી પાડ્યા હતા. કારમાં સવાર વ્યક્તિ અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય હોવાનું સામે આવ્યુ છે.
મૃતકનું નામ કિરીટ પોંદા હોવાની માહિતી મળી છે. મૃતક વ્યક્તિ રાજકોટના લોધાવડ વિસ્તારમાં સેન્ડવીચની લારી ચલાવતા હતા અને રાત્રે કામ બંધ કર્યા બાદ પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન બાઇક ચાલકને નશામાં ધૂત કાર ચાલકે અડફેટે લીધો હતો.
પોલીસે હાલ તો બંને આરોપીને ઝડપી લીધા છે. DCPના જણાવ્યા અનુસાર આરોપીઓ નશાની હાલતમાં હતા.તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. પ્રાથમિક માહિતી મળ્યા અનુસાર IPC કલમ 304 અંતર્ગત સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે.
Published On - 8:02 am, Thu, 21 March 24