Dahod: મંગલમહુડી યાર્ડમાં OHE વાયર તૂટીને રેલવેની અપ લાઇન પર પડ્યા, ટ્રેન સેવા પર થઇ અસર
દાહોદ (Dahod) જિલ્લામાં પહેલેથી જ મુસાફરોને કેટલીક ટ્રેનોને સ્ટોપેજ ન મળતા સમસ્યા નડી રહી હતી. ત્યારે હવે OHE વાયર તૂટીને રેલવેની અપ લાઇન પર પડતા લોકોને વધુ હાલાકી ભોગવવી પડશે.
દાહોદ (Dahod) જિલ્લામાં ગઇકાલે એટલે કે 31 જુલાઇના રોજ મંગલમહુડી લીમખેડા વિભાગ હેઠળના મંગલમહુડી યાર્ડમાં OHE વાયર તૂટીને રેલવેની (railway) અપ લાઇન પર પડ્યા હતા. 10.45 કલાકે આ ઘટના ઘટી હતી. જેના પગલે અપ ડાઉન લાઇન ટ્રેન ટ્રાફિક (Train traffic) માટે બંધ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળતાં જ ડિવિઝનલ રેલવે મેનેજર વિનીત ગુપ્તા અને અન્ય રેલવે અધિકારીઓ ડિવિઝનલ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. રતલામથી તરત જ વરિષ્ઠ ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) ટાવર વેગન અને સ્ટાફ સાથે પણ સ્થળ પર પહોંચી ગયા. જે પછી ડાઉન ટ્રેક લાઇન 12.43 કલાકે પુનઃસ્થાપિત કરવામાં આવી, તો અપ લાઇન 05.58 કલાકે શરૂ થઈ. આ દરમિયાન આ સેક્શનમાં ઘણી ટ્રેનોને અસર થઈ હતી.
ટ્રેનના આટલા રુટમાં થયા ફેરફાર: (વાયા રતલામ ચિત્તોડગઢ – અજમેર – પાલનપુર – અમદાવાદ)
- 19414 કોલકાતા અજમેર, 30 જુલાઇ 2022 ના રોજ કોલકાતાથી ચાલી રહ્યું છે
- 11464 જબલપુર સોમનાથ એક્સપ્રેસ, 31મી જુલાઈ, 2022ના રોજ જબલપુરથી ચાલતી
- 19310 ઈન્દોર ગાંધીનગર કેપિટલ ઈન્દોર 31 જુલાઈ 2022ના રોજ ચાલશે
ટ્રેનનો રુટ ટુંકાવાયો
- 19820 કોટા વડોદરા, કોટાથી દાહોદ સ્ટેશન સુધી ચાલતી 31મી જુલાઈ 2022ના રોજ ટૂંકી ટર્મિનેટ થઈ. વડોદરાથી કોટા દાહોદ 01 ઓગસ્ટ 2022 ના રોજ દોડશે અને વડોદરા દાહોદ વચ્ચે રદ રહેશે.
મહત્વનું છે કે દાહોદ (Dahod) જિલ્લામાં પહેલેથી જ મુસાફરોને કેટલીક ટ્રેનોને સ્ટોપેજ ન મળતા સમસ્યા નડી રહી હતી. ત્યારે હવે આ સમસ્યાના કારણે લોકોને વધુ હાલાકી ભોગવવી પડશે. ત્રણ દિવસ પહેલા જ રેલવે રાજ્ય મંત્રીની મુલાકાતે પહોંચ્યાં હતાં અને દાહોદ જિલ્લા સાંસદ દ્વારા ચાર જેટલી ટ્રેનોમાં એક – એક કોચ વધારવા માટે રેલ રાજ્ય મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. ટ્રેનો બાબતે અગાઉ પણ રજૂઆતો કરેલી છે.
કોરોના કાળ દરમ્યાન ખાસ કરીને ટ્રેનો ઉપર ખાસી અસર જોવા મળી હતી ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પણ કોરોના બાદ ઘણી એવી ટ્રેનોનું હાલ સુધી સ્ટોપેજ નથી મળ્યું. આ માટે અગાઉ દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ મંત્રી સહિત દિલ્હી સુધી આ મામલે રજુઆતો કરવામાં આવી હતી.
(વીથ ઇનપુટ- પ્રિતેશ પંચાલ, દાહોદ)