Gujarat Corona : મહાનગરોમાં કોરોનાનુ મહાટેસ્ટિંગ અભિયાન, જાણો કયા શહેરમાં આવી બેદરકારી સામે
ખાસ કરીને મહાનગરોમાં ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના આ ચાર મહાનગરોના દ્રશ્યો. જેમાં જોઇ શકાય છે કે ટેસ્ટિંગ માટે તંત્રએ પૂરજોશમાં કામગીરી આરંભી દીધી છે
Gujarat Corona : રાજ્યમાં વકરી રહેલી મહામારીને નાથવા તંત્રના તનતોડ પ્રયાસો શરૂ થયા છે. ખાસ કરીને મહાનગરોમાં ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના આ ચાર મહાનગરોના દ્રશ્યો. જેમાં જોઇ શકાય છે કે ટેસ્ટિંગ માટે તંત્રએ પૂરજોશમાં કામગીરી આરંભી દીધી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ટેસ્ટિંગ માટે લોકોને લાઇન લગાવી તો જામનગરમાં પણ બહારગામથી આવતા મુસાફરોને ટેસ્ટિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન, એસ.ટી ડેપો, એરપોર્ટ પરથી શહેરમાં પ્રવેશતા નાગરિકોનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. તો ભાવનગરમાં પણ સંક્રમણ રોકવા સુરત સહિત બહારગામથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અને શહેરના પ્રવેશદ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરીને તમામની તપાસ કરાઇ રહી છે. જોકે અમદાવાદમાં બનાવાયેલા ટેસ્ટિંગ ડોમ શોભાના ગાંઠીયા બન્યા છે. અને કેટલાક ટેસ્ટિંગ ડોમ પર કર્મચારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ નાગરિકો કરી રહ્યા છે. જેના પગલે નાગરિકોને ટેસ્ટિંગ કરાવવામાં મુશ્કેલી નડ઼ી રહી છે.
Rajkot : રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આજે શહેરના રૈયા ચોકડી પાસે સવારથી કોરોના ટેસ્ટિંગ બૂથ પર સ્વયંભૂ ટેસ્ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં રાહદારીઓ પણ ટેસ્ટ કરવા માટે જોડાયા હતા. આ સ્વયંભૂ ટેસ્ટ દરમિયાન અધધ કહી શકાય તેમ એક સાથે 25 લોકો પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. આગામી સમયમાં વધુ લોકોને કોરોના ન થાય તે માટે બહારથી આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરવાનો નિર્ણય લેવાયો છે.. હોળી-ધુળેટી નિમિત્તે સુરતથી આવનારા તમામ લોકોને કોરોના ટેસ્ટિંગ બાદ જ પ્રવેશ અપાશે.
Jamnagar : જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર સજ્જ બન્યું છે. રાજ્ય અને શહેર બહારથી આવતા લોકોનું ફરજિયાત પણે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રેલવે, એરપોર્ટ, એસ.ટી બસ પર કોરોના ટેસ્ટની કામગીરી વધારવામાં આવી છે. આ સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે દંડાત્મક કાર્યવાહી પણ તંત્ર દ્વારા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત 12 જેટલા ધનવંતરી રથ દ્વારા કામગીરી તથા રસીકરણની ઝુંબેશને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
Bhavnagar : ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે. હોળી-ધુળેટી નિમિત્તે અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાવનગર આવે તેવી શક્યતા છે. ખાસ કરીને સુરતથી મોટી સંખ્યામાં લોકો વતનમાં આવી રહ્યા છે. જેને પગલે તંત્ર દ્વારા ભાવનગર શહેર તરફ આવતા બે હાઇવે પર ચેકપોસ્ટ ઉભી કરી દીધી છે. આધેલાઈ અને કેરિયાઢાળ પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. જ્યાં બહારથી આવતા તમામ લોકોનો રેપીડ ટેસ્ટ કરાઈ રહ્યો છે. અને જો કોઈનામાં શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
Ahmedabad અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે AMCના આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.. શહેરમાં ઠેર-ઠેર ટેસ્ટિંગ ડોમ બનાવાયા છે.. પરંતુ તેમાંથી મોટાભાગના ટેસ્ટિંગ ડેમ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. કારણ કે ત્યાં ટેસ્ટિંગ કરનાર કોઈ કર્મચારી જ હાજર નથી. શહેરના અનેક નાગરિકો ટેસ્ટિંગ માટે સવારથી બપોર સુધી રાહ જોઈ પણ ટેસ્ટિંગ કરવા કોઈ આવ્યું જ નહીં. અનેક લોકો ટેસ્ટિંગ વિના જ ઘરે પરત ફરવા મજબૂર બન્યા છે..અનેક જગ્યા પર ધક્કા ખાવા છતાં લોકોનો ટેસ્ટ કરવામાં નથી આવી રહ્યો. જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ થાય છે કે આ રીતની લાલિયાવાડીથી કેવી રીતે અટકશે કોરોના?