Chhota Udepur: કવાંટ તાલુકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે ખોલી પોલ
ગોજારિયા ગામમાં પીવાના પાણીની સમસ્યા (Water crisis) વર્ષોથી છે, ગ્રામજનો તેમના માટે તો ગમે તેમ કરીને પાણીની વ્યવસ્થા કરી લે છે, પણ મૂંગા પશુ માટે શું એ પણ તેમણે સવાલ સતાવી રહ્યો છે.
છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં ઘરે ઘરે લોકોને પીવાનું પાણી મળે તે માટે નલ સે જલ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. પણ આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર (Scam) થયા હોવાનો પર્દાફાશ થયો છે. કવાંટ તાલુકા પંચાયતના ભાજપના (BJP) કારોબારી અધ્યક્ષ પિન્ટુ ભાઈ રાઠવાએ અધિકારીઓને સાથે રાખી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાનું સાબિત કરી બતાવ્યું છે.
સમગ્ર દેશમાં ઘરેઘર પીવાનું પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે, તો કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોજારિયા ગામે નલ સે જળ યોજનાના કામની શરૂઆત થતાં વર્ષોથી પીવાના પાણી માટે સંઘર્ષ કરતાં લોકોમાં અનેરી ખુશી હતી, પણ કામગીરી જોતાં ગોજારીયા ગામે 43 લાખના ખર્ચે થઈ રહેલી પાણીની કામગીરીના નાણાં પાણીમાં ગયા હોય તેવું સાબિત થઈ રહ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે તેમના ઘરે કોઈ મહેમાન આવે તો તેમણે મોઢું છુપાવવું પડે છે. ગામમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી છે, ગ્રામજનો તેમના માટે તો ગમે તેમ કરીને પાણીની વ્યવસ્થા કરી લે છે, પણ મૂંગા પશુ માટે શું એ પણ તેમણે સવાલ સતાવી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં નલ સે જલ યોજનાનું કામ જે કોન્ટ્રાકટરને મળે છે તે કોન્ટ્રકટર પોતાનો જ ફાયદો જ વિચારી રહ્યા હોવાનો અને કામ બિલકૂલ હલકી ગુણવત્તાનુ થઇ રહ્યુ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. કોન્ટ્રાકટર દ્વારા કવાંટ તાલુકાના ગોજારિયામાં કામગીરી પૂર્ણ થતા જ સ્ટેન્ડ પોલ લગાડવામાં આવ્યા છે, તે ગબડી રહ્યા છે. ગામના લોકોએ હજુ તો નળમાં આવતું પાણી જોયું નથી અને જે હાલત યોજનાની થઈ તેને લઈ ગામના લોકોએ તાલુકા કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાને રજૂઆત કરી હતી.
પિન્ટુ રાઠવાએ લાગતા વળગતા અધિકારી અને કોંટ્રાક્ટર સાથે મીટિંગ કરી જાતે જ ગામમાં તપાસ અર્થે પહોચ્યા હતા. જ્યાં ચોકાવનારી વિગતો સામે આવી. લોકોએ હાથ વડે સ્ટેન્ડ પોલ ઉખેડીને બતાવ્યા હતા. જેમાં જોવા મળ્યુ કે પાઇપને જે નિયમ પ્રમાણે ઊંડાઈમાં નાખવી જોઈએ તે નાખવામાં આવી નથી. પાઇપ લાઈનો પણ ઉખડી ગયેલી હાલતમા હતી. પિન્ટુ રાઠવાએ એમ પણ જણાવ્યુ કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના 100 જેટલા ગામોમાં નલ સે જલ યોજનાનું કામ ચાલી રહ્યું છે, તમામ જગ્યાએ આજ સ્થિતિ છે. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે અધિકારીઓ અને કોંટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર થયો છે, જો અહીનું તંત્ર વાત નહીં સભાળે તો ગાંધીનગર સુધી રજૂઆત કરીશ.
તો બીજીતરફ સ્થળ ઉપર હાજર જવાબદાર વાસમો વિભાગના અધિકારીએ કામગીરી હલકી ગુણવત્તાની થઈ હોવાનું કબુલ્યું હતું અને ઈજારદાર અને એસ.ઓ. સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી હતી, પરંતુ નિયમાનુસાર કામગીરી જો અધિકારીના સુપરવિઝન અને મોનીટરીંગ હેઠળ થઈ હોય તો આટલા મોટપાયે ભ્રષ્ટાચાર કેવી રીતે શક્ય છે ? તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.