Chhota Udepur: મોટી ટોકરી ગામના લોકોને પીવાના પાણી માટે કરવો પડે છે સંઘર્ષ, હાફેશ્વર ડેમ નજીક હોવા છતા પાણીની તંગી
છોટા ઉદેપુરના (Chhota Udepur) મોટી ટોકરી ગામમાં ચોમાસુ પૂરું થતાં જ જળસ્તર પાતાળમાં જતાં રહેતા હોય છે. તંત્ર દ્વારા અહીં 300 ફૂટથી વધુ ઉંડા બોર બનાવવામાં આવ્યા નથી, જેના કારણે પાણીના સ્તર જલ્દી નીચે જતા રહે છે.
ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer 2022) સાથે ઠેર ઠેર પાણીની સમસ્યા (Water Crisis) પણ સતાવી રહી છે. છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામના લોકો પીવાના પાણી માટે સંઘર્ષ વેઠી રહ્યાં છે. ઢોર પાણીની તંગીથી મરી રહ્યાં છે અને લોકો પાણી વિના ટળવળી રહ્યાં છે. ગામની નજીકથી નર્મદાની પાણી જતું હોવા છતાં લોકો તરસે મરી રહ્યાં છે. ઉનાળામાં એક તરફ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે છોટા ઉદેપુરના મોટી ટોકરી ગામના લોકોને પાણી માટે વલખા મારવાની ફરજ પડી છે.
ગામમાં અનેક બોર છતા પાણીની સમસ્યા
છોટા ઉદેપુરના મોટી ટોકરી ગામે ઉનાળો હવે મધ્યમાં પહોંચ્યો છે ત્યારે જળસ્તર પાતાળમાં જતા રહ્યા છે. એવું પણ નથી કે ગામના લોકોને પીવાના પાણીની ચિંતા તંત્રએ કરી નથી. ગામમાં અસંખ્ય બોર બનાવ્યા છે. પણ બોર બનાવ્યા બાદ તેમણે પાણી મળે છે કે કેમ તેની ચિંતા કરી નથી. બીજી તરફ પાણીની તંગીથી ઢોર-ઢાખર મૃત્યુ પામી રહ્યાં છે. ગ્રામજનો પાણીના પ્રશ્નને લઇને એવા મજબુર બન્યા છે કે લોકોએ ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. આ ગામની સમસ્યાની વાત કરીએ તો એક હેન્ડપંપ પર અનેક મહિલાઓ પાણી આવવાની રાહ જોતી રહે છે, પણ ઘણો સમય હેન્ડપંપ ચલાવવા છતાં પાણીનું એક ટીપું પણ નસીબ નથી થતુ.
ડેમ નજીક હોવા છતા પાણી માટે તરસતા લોકો
છોટા ઉદેપુરના મોટી ટોકરી ગામમાં ચોમાસુ પૂરું થતાં જ જળસ્તર પાતાળમાં જતાં રહેતા હોય છે. તંત્ર દ્વારા અહીં 300 ફૂટથી વધુ ઉંડા બોર બનાવવામાં આવ્યા નથી, જેના કારણે પાણીના સ્તર જલ્દી નીચે જતા રહે છે. ગામમાં સરકારી અને ખાનગી મળી લગભગ 100 જેટલા બોર છે. પણ 3 હજાર લોકોની વસ્તી ધરાવતા ગામમાં પાણીની ભારે તંગી પડે છે. લોકોએ પાણી ભરવા અન્ય ગામમાં જવું પડે છે. ગામથી માત્ર 3 કિમી દૂર નર્મદા હાફેશ્વર યોજના છે.
ગામમાં બોર,નળ,પાઈપલાઈન, ટાંકી બધુ જ છે. છતાં પાણીની ભારે તકલીફ છે. લોકોને પીવાના પાણી માટે તો તકલીફ છે જ, સાથે પશુઓ માટે પાણી મેળવવા પણ લોકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. ગ્રામજનોને પશુપાલન કરવું જ દુષ્કર બન્યું છે. દૂરથી દૂર પાણી ભરી લોકો પશુઓને પાણી આપી રહ્યાં છે. તો ઘણી વાર પાણીની તંગીને લીધે પશુઓ મૃત્યુ પણ પામે છે.
પાણીની સમસ્યાના કારણે મહિલાઓ ખાબોચીયાના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ભરવા મજબૂર છે. પાણી એટલું ગંદુ છે કે પશુઓ પણ પીતા નથી. ત્યારે સરકાર પાણીની સમસ્યા હલ કરે તેવી માગ આ ગામની મહિલાઓ કરી રહી છે. ગામની નજીકમાંથી જ જો અન્ય જિલ્લાઓમાં પાણી લઈ જવાતું હોય તો તેમની સાથે અન્યાય કેમ, લોકો આ વેધક સવાલ સાથે તેમને પણ પાણી મળી રહે તેવી માગ કરી રહ્યાં છે.